ડ્રોપ આઉટની અસર: હવે ધો.9-11 માં પણ યોજાશે પ્રવેશોત્સવ
ધો.9માં 10.35 લાખ અને ધો.11માં 6.61 લાખ બાળકોને પ્રવેશ અપાશે: ધો.1માં નિયમ બદલતા બાલવાટીકામાં 11.73 લાખનો પ્રવેશ
શાળાઓમાં ઉનાળુ રજા પુરી થઇ છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ચૂકયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાજય સરકાર દ્વારા તા.26/27 અને 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે ધોરણ 9 અને ધોરણ 11માં પણ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. ડ્રોપ આઉટ રેસીયો વધતા પણ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચાઇ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના 32.31 લાખ બાળકોને તેનો લાભ મળશે. જેમાં બાલવાટિકામાં 11.73 લાખ, ધોરણ-1માં પ્રવેશ 3.62 લાખ, ધોરણ-9માં પ્રવેશ 10.35 લાખ, ધોરણ-11માં 6.61 લાખ બાળકો પ્રવેશ મેળવશે. રાજ્યમાં નાના બાળકોના બાલવાટિકા શિક્ષણથી માંડીને ઉચ્ચર શિક્ષણ સુધી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ રાજ્ય સરકાર કરી રહી છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના નાગરિકોને-બાળકોને મુખ્ય ધારામાં લાવવા અને ડ્રોપ આઉટ દરને ઝડપી રીતે ઘટાડવાનો છે. રાજ્યના વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે તે દિશામાં આ પ્રયાસ છે. 21મો શાળા પ્રવેશોત્સવ આ વર્ષે 26, 27 અને અને 28- જૂના ત્રણ દિવસ માટે શાળાઓમાં યોજાશે.
મંત્રીએ કહ્યું હતું કે, પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાશે. તેની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં (1) નમો લક્ષ્મી અને (2) નમો સરસ્વતી યોજના શરૂૂ કરવામાં આવી છે. જે મુજબ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ યોજનાની શરૂૂઆત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. આ તમામ યોજનાના લાભોથી પણ પ્રવેશોત્સવ દરમિયાન પાત્રતા ધરાવતા બાળકોને લાભાન્વિત કરવામાં આવશે.
બાળકોને તિથિ ભોજન કરાવવાનું આયોજન
રાજ્યમાં આવેલી તમામ સરકારી શાળાઓમાં પીએમ પોષણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને નાસ્તો તથા બપોરનું ભોજન પીરસવામાં આવે છે. આગામી ક્ધયા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ સમયે બાળકોને પ્રોત્સાહન આપવા દાતાઓ દ્વારા તિથિ ભોજન આપવામાં આવે તે માટે પીએમ પોષણ યોજના કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં પત્ર લખી સૂચન કરાયું છે. ગુજરાત રાજ્યમાં શાળાના બાળકોને જુદા જુદા તહેવારો, જન્મ દિવસ ઉજવણી તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ગામના દાતાઓ, શ્રેષ્ઠીઓ તેમજ ગામના આગેવાનો તરફથી તિથિ ભોજન આપવામાં આવતો હોય છે. જેથી આ જ રીતે આગામી 26 જૂનથી 28 જૂન દરમિયાન યોજાનારા ક્ધયા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે તિથી ભોજન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.