કચ્છમાં સતત બીજા દિવસે ધરતીકંપનો આંચકો
કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી છે. આજે એટલે કે ગુરુવારે બપોરે 1:36 મિનિટે ખાવડામાં આંચકો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે.ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 30 કીમી દૂર નોંધાયું છે.
ગઈકાલે પણ બપોરના સમયે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. પશ્ચિમ કચ્છના વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.બપોરના 2.51 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય છે અને ધરતીની બે પ્લેટ ટકરાતી હોવાથી અહીં ઘણીવાર ભૂકંપ અનુભવાતા રહે છે. વર્ષ 2001ના મહાવિનાશક ભૂકંપ બાદ રાજ્યમાં ઘણીવાર આંચકા અનુભવાયા છે. 2022માં 4થી વધુ તીવ્રતાનો માત્ર એક ભૂકંપ અને તે પણ સૌરાષ્ટ્રના તલાલા વિસ્તારમાં નોંધાયો હતો. 2023માં ગુજરાતમાં 4.0થી વધુ તીવ્રતાના 4 ભૂકંપો આવ્યા છે, જે કચ્છના દુધઈમાં 2, ખાવડા પંથકમાં 1, ઉત્તર ગુજરાતના વાવ પાસે એક નોંધાયેલ છે. જ્યારે 2021માં 4.0ની તીવ્રતાના 7 ભૂકંપો નોંધાયા હતા. આમ, એક વર્ષ બાદ ફરી ધરતીના પેટાળમાં ગતિવિધિઓ વધી છે.