શાપર-વેરાવળ-લોઠડા પંથકમાં ફરી ભૂકંપ
- વાવડીમાં પણ બહુમાળી બિલ્ડિંગોના બારી-દરવાજા ખળભળ્યા, લોકોમાં ફફડાટ : લોઠડા-પીપલાણા વચ્ચે એ.પી. સેન્ટર
રાજકોટ શહેરની ભાગોળે આવેલા શાપર-વેરાવળ-લોઠડા સહિતના વિસ્તારોમાં અઠવાડિયા પહેલા ગત શુક્રવારે ભૂકંપનો આંચકો આવ્યા બાદ આજે બપોરે ફરી વખત શાપર-વેરાવળ-લોઠડા-પીપલાણા-ખોખળદડ સહિતના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાતા અને બહુમાળી બિલ્ડીંગોના બીરા-દરવાજા ખળભળી ઉઠતા લોકો ભયના માર્યા બહાર દોડી આવ્યા હતાં. અને આ અંગે સરકારી કચેરીઓના ફોન ધણધણાવ્યા હતાં.
જાણવા મળ્યા મુજબ આજે બપોરે 2:09 કલાકે શાપર-વેરાવળ-લોઠડા તેમજ આસપાસના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો અને આ આંચકાની અસર રાજકોટની ભાગોળે વાવડી સુધી જણાઈ હતી. શાપર-વેરાવળ ઉપરાંત વાવડીમાં આવેલા બહુમાળી ઈમારતોમાં આંચકાની તિવ્રતા વધુ જણાતા બારી દરવાજા ખળભળ્યા હતા અને લોકો ઘરોની બહાર નિકળી ગયા હતાં.
સિસ્મોલોજીક સેન્ટરના જણાવ્યા મુજબ આજે બપોરે 2:09 કલાકે રાજકોટથી 16 કિલોમીટર દૂર રાજકોટ-કોટડાસાંગાણી રોડ ઉપર લોઠડા અને પીપલાણા ગામ વચ્ચે આ ધરતીકંપના આંચકાનું એ.પી. સેન્ટર નોંધાયું છે અને આંચકાની તિવ્રતા 2.09ની નોંધાઈ છે. જો કે, આ ધરતીકંપના આંચકાથી કોઈ મોટુ નુક્શાન કે અન્ય અહેવાલો મળી રહ્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પહેલા જ આ વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો પરંતુ આજે નોંધાયેલા આંચકાની તિવ્રતા તેના કરતા વધુ અનુભવાઈ હતી અને આ આંચકાનો અનુભવ રાજકોટની ભાગોળે આવેલા વાવડી સુધી થયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયામાં આ સતત બીજો આંચકો અનુભવાતા લોકોમાં પણ ચિંતાની લાગણી જન્મી છે.