શેરબજારની ઊથલપાથલથી સંસદના સત્રમાં જ ધમાલના એંધાણ
એક્ઝિટ પોલ પછી તેજી અને પરિણામોના દિવસે ધબડકા પાછળ મોદી-શાહને જવાબદાર ગણાવી કોંગ્રેસ નેતાએ જેપીસીની માંગ કરી
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએ સરકાર રચવા કવાયત શરૂ થઇ છે. ભાજપ એકલા હાથે બહુમતી મેળવવાથી ઘણો દુર રહેતા તે એનડીએના સાથી પક્ષો પર આધારીત રહેશે. બીજી તરફ ઇન્ડીયા જુથ 200થી વધુ બેઠકો સાથે બળવાન બન્યું છે. ત્યારે નવી લોકસભામાં તે આક્રમક રૂપ અપનાવે તેવી શકયતા છે. કોંગ્રેસ અધ્યક્ષપદ અને લોકસભામાં પક્ષની નેતાગીરીથી દુર રહેલા રાહુલ ગાંધી ચુંટણી દરમિયાન કોંગ્રેસ અને ગઠબંધનનો મુખ્ય ચહેરો રહ્યા હતા. કોંગ્રેસે સભ્ય સંખ્યા બમણી થતાં તેમનામાં ભરપુર આત્મવિશ્વાસ ગઇકાલની પત્રકાર પરિષદમાં દેખાયો હતો.
લોકસભામાં કોંગ્રેસ અને સત્તાવાર વિપક્ષનો દરજજો મેળવી રહ્યો છે. ત્યારે ગાંધી ફ્રન્ટફુટ પર રહી સરકાર સામે આક્રમક રહેશે. તેમણે કથીત શેરબજાર કૌભાંડ મામલે જેપીસીની માગ પત્રકાર પરિષદમાં કરી. નવી લોકસભાના પ્રથમ સત્રમાં જ તેઓ આવી માગણી કરી શકે છે. સરકાર તરફથી તેનો સ્વીકાર ન થાય અને વિપક્ષો તેમની માગમાં અડીખમ રહે તો ગતીરોધ સર્જાવાની પુરી શકયતા છે. ગઇકાલની પત્રકાર પરિષદમાં એક પ્રશ્ર્નના જવાબમાં રાહુલે સુચક રીતે કહ્યું કે સ્થિતિ હવે બદલાઇ છે અને સરકાર તેમને હળવાશમાં લઇ શકે તેમ નથી.
ઉલ્લેખનીય છે કે 1 જૂન 2024ના લોકસભા ચૂંટણીનો એક્ઝિટ પોલ જાહેર થયા બાદ 3 જૂને સ્ટોક માર્કેટે બધા રેકોર્ડ તોડી દીધા હતા. તો 4 જૂને ચૂંટણી પરિણામ આવ્યા બાદ સ્ટોક માર્કેટ ધરાશાયી થઈ ગયું હતું. તેને લઈને રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- ચૂંટણીના સમયે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેર બજાર પર ટિપ્પણી કરી અને કહ્યું કે શેર બજાર ઝડપથી આગળ જશે અને લોકોએ શેર ખરીદવા જોઈએ. એક જૂને મીડિયા ખોટો એક્ઝિટ પોલ જાહેર કરે છે. ભાજપના આંતરિક સર્વેમાં 220 સીટો આવી રહી હતી, એજન્સીઓએ 200થી 220 સીટો ગણાવી હતી. 3 જૂને સ્ટોક માર્કેટે બધા રેકોર્ડ તોડી દીધા હતા.
રાહુલ ગાંધીએ સવાલ કર્યો- પીએમે જનતાને રોકાણ કરવાની સલાહ કેમ આપી. અમિત શાહે લોકોને શેર ખરીદવા માટે કેમ કહ્યું. શું ભાજપ અને આ વિદેશી ઈન્વેસ્ટરો વચ્ચે કોઈ સંબંધ છે તો શું છે.. અમે તેની જેપીસી તપાસની માંગ કરીએ છીએ. નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભૂમિકાની તપાસ થાય.
ચંદ્રાબાબુ નાયડુના પત્નીએ હેરિટેજ ફૂડસના શેરમાં પાંચ દી’માં કરી 579 કરોડની કમાણી
ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરીએ માત્ર પાંચ દિવસમાં ₹579 કરોડની કમાણી કરી હતી કારણ કે હેરિટેજ ફૂડ્સના સ્ટોકમાં જંગી તેજી જોવા મળી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં કડાકો થયો હોવા છતાં, હેરિટેજ ફૂડ્સ લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્નને કારણે ઋખઈૠ સ્ટોકમાં વધારો થયો હતો, જે મુજબ નારા ભુવનેશ્વરી કંપનીમાં 24.37 ટકા હિસ્સો ધરાવે છે.તેણી કંપનીની મુખ્ય પ્રમોટર છે અને 2,26,11,525 હેરિટેજ ફૂડ્સ શેર ધરાવે છે જે કંપનીના નિર્ણયો અને કામગીરી પર તેમનો મજબૂત પ્રભાવ દર્શાવે છે. આનાથી કંપનીના શેરના ભાવ પર અસર પડી જે 31 મે, 2024ના રોજ ₹402.90 પર હતી.પાંચ સત્રોમાં, હેરિટેજ ફૂડ્સના શેરના ભાવમાં વધારો થયો અને મંગળવારના શેરબજારના કડાકાના દિવસે પણ ઊંચો અંત આવ્યો. શેર દીઠ ₹659ની ઇન્ટ્રાડે હાઇને સ્પર્શે છે. છેલ્લા પાંચ સતત સત્રોમાં, હેરિટેજ ફૂડ્સના શેરની કિંમત પ્રતિ શેર ₹256.10 વધી છે. આનાથી એવા સમયે નારા ભુવનેશ્વરીની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો જ્યારે ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનની લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી છે.