ખંભાળિયામાં લોહાણા અગ્રણી સતીષભાઇ દત્તાણીનું અવસાન: રઘુવંશી સમાજે આપી શ્રદ્ધાંજલી
ખંભાળિયા તેમજ સલાયા પંથકમાં વિવિધ સેવા ક્ષેત્રોમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા લોહાણા અગ્રણી સતિષભાઈ દત્તાણીનું તાજેતરમાં કાંદીવલી ખાતે દુ:ખદ અવસાન થતા ખંભાળિયાના રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
છેલ્લા વર્ષોમાં કાંદિવલીના વિકાસમાં અને ખાસ કરીને એજ્યુકેશન તથા હેલ્થ-સેક્ટરમાં પાયાનું કામ કરનારા મંગુભાઈ દત્તાણીના કામને આગળ ધપાવવાનું અને એની માવજત કરીને વટવૃક્ષ બનાવવાનું ભગીરથ કાર્ય કરનાર તેમના પુત્ર સતીશ દત્તાણીનું તાજેતરમાં 76 વર્ષની જૈફ વયે આકસ્મિક નિધન થયું હતું. રાતે બાર વાગ્યા સુધી પરિવારના મેમ્બરો સાથે વાતો કર્યા બાદ સતીશભાઈ સૂવા ગયા હતા. ત્રણ વાગ્યે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેમણે પરિવારના સભ્યોને જગાડયા હતા. પરિવારના સભ્યો હજી ડોક્ટરને બોલાવે કે તેમને સારવાર અપાય એ પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમની અચાનક વિદાયથી પરિવાર સાથે સમગ્ર પંથક સ્તબ્ધ થઈ ગયો હતો. અવસાન બાદ તેમના પાર્થિવ દેહનાં લોકો અંતિમ દર્શન કરી શકે એ માટે હિતવર્ધક મંડળ, કેઈએસ શ્રોફ કોલેજ અને બાલાશ્રમમાં રાખવામાં આવ્યો હતો. કાંદિવલીના અનેક લોકોએ તેમને ભાવભીની અંજલિ આપી હતી. સતિષભાઈ દ્વારા તેમના વતન ખંભાળિયા તેમજ સલાયામાં નિયમિત રીતે સેવા કાર્યોમાં અનુદાન સાંપડતું હતું.
તેઓ લોહાણા વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ લોહાણા બાલાશ્રમ, લોહાણા મહાજન અને જલારામ મંદિર વિગેરે માટે વર્ષો સુધી કાર્યરત રહ્યા હતા. એકદમ સાલસ અને સરળ સ્વભાવના સતીશભાઈ કોઈ પણ સામાજિક કાર્યમાં મદદ કરવા માટે તૈયાર રહેતા. તેમના નિધનથી મુંબઈ સાથે ખંભાળિયા રઘુવંશી સમાજને પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાના પ્રતિભાવ વ્યક્ત કરી, ખંભાળિયા લોહાણા મહાજન તેમજ સાથે રઘુવંશી જ્ઞાતિના આગેવાનો, હોદ્દેદારો દ્વારા તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.