લગ્નપ્રસંગે દાંડિયારાસમાં ડખો: મશ્કરી કરવા મુદ્દે વરરાજા સહિત 9 ઉપર હુમલો
માળિયા-મિયાણાના ચીખલી ગામની ઘટના: પિતા-પુત્ર સહિત 5 ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા
માળિયા મીયાણાના ચીખલી ગામે લગ્ન પ્રસંગે દાંડિયારાસમાં મશ્કરી કરવા મુદ્દે થયેલા ડખ્ખાનો ખાર રાખી વરરાજા સહિત એક જ પરિવારના નવ સભ્યો ઉપર મહિલા સહિત 6 શખ્સોએ છરી અને કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્ર સહિત પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળિયા મીયાણાના ચીખલી ગામે રહેતા રહેમાનભાઈ હાસમભાઈ જામ ઉ.વ.60, નુરાલીબેન હસનભાઈ જામ ઉ.વ.55, સબીર રહેમાનભાઈ જામ ઉ.વ. 30, નાઝીર રહેમાન જામ ઉ.વ.24, જુસબ હાસમભાઈ જામ ઉ.વ. 45, પોતાના ઘર પાસે હતા ત્યાંરે સાંજના સાડાસાતેક વાગ્યાના અરસામાં કૌટુંબીક ઈલીયાસ, અનવર અને રેશમાબેન સહિતના ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી એન કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પાંચેય ઈજાગ્રશ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત નાજીરના ગત તા. 19ના રોજ લગ્ન હતાં અને લગ્ન પ્રસંગે દાંડિયારાસમાં હુમલાખોર શખ્સોએ ખુરસી નાખી મશ્કરી કરતા હતા જે અંગે થયેલી બોલાચાલીનો ખાર રાખી વરરાજા સહિત એક જ પરિવારના પાંચ સભ્યો ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માળિયા મીયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.