હાલ કેજરીવાલ જેલમાં જ રહેશે, સુપ્રીમ કોર્ટ જામીનનો ચુકાદો રાખ્યો સુરક્ષિત
દિલ્હી લિકર પોલિસી સંબંધિત કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પડકારી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ દ્વારા કરાઈ હતી. જોકે આજે પણ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી સુપ્રીમ કોર્ટે જામીન અંગે કોઈ નિર્ણય આપ્યો નથી. બેન્ચ છેલ્લી ઘડીએ ઉઠી ગઈ અને ચુકાદો અનામત રાખ્યો છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 9 મેના રોજ થશે. વચગાળાના જામીન અંગેનો નિર્ણય ક્યારે આવશે તે અંગે કોર્ટે સ્પષ્ટતા કરી નથી.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન EDને ઘણા સવાલો પણ પૂછ્યા હતા. ન્યાયાધીશોએ ED માટે હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ પહેલા અને પછી કેસની ફાઇલો રજૂ કરવા પણ કહ્યું હતું.
આ તપાસ બાબતે ED વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે જ્યારે અમે તપાસ શરૂ કરી ત્યારે અમારી તપાસ સીધી કેજરીવાલ સામે નહોતી, તેથી શરૂઆતમાં તેમને સંબંધિત એક પણ સવાલ પૂછવામાં આવ્યો ન હતો. પરંતુ તપાસ દરમિયાન તેની ભૂમિકા સામે આવી હતી.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા EDને ઘણા પ્રશ્નો પૂછ્યા. જેમાં કોર્ટે પૂછ્યું હતું કે ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી? કેજરીવાલ કેસમાં શું જોડવામાં આવ્યું છે? કેસમાં કાર્યવાહી અને ધરપકડ વચ્ચે આટલો લાંબો સમય કેમ લાગી રહ્યો છે
એસવી રાજુએ દાવો કર્યો હતો કે AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ 2022ની ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન 7 સ્ટાર હોટલમાં રોકાયા હતા. કેજરીવાલના કેટલાક બિલ દિલ્હી સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ચૂકવવામાં આવ્યા હતા.
છેલ્લી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ED માટે હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું હતું કે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવામાં સમય લાગી શકે છે. આ કારણોસર કોર્ટ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરી રહી છે.વાસ્તવમાં, કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે.