કોંગ્રેસમાં પ્રથમ વખત દેખાયો કરન્ટ, તમામ નેતાઓ એક સાથે
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની આજે પ્રથમ માસિક પૂણ્યતિથિએ પીડિત પરિવારોને ન્યાય અપાવવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધનાં એલાનને અભૂતપૂર્વ સફળતા મળી હતી તેની પાછળ કોંગ્રેસની મહેનત અને જનૂન કારણભૂત માનવામાં આવે છે. લાંબા સમય પછી કોંગ્રેસના નેતાઓ એક સાથે દેખાયા હતાં અને અત્યંત સંવેદનશીલ એવા આ મુદ્દાને લોકો સમક્ષ અસરકારક રીતે લઈ જવામાં સફળતા થતાં કોંગ્રેસના આંદોલનને પણ લોકોનું જબરૂ સમર્થન મળ્યું હતું. રાજકોટમાં વર્ષો બાદ કોંગ્રેસ વિપક્ષના અસલ મિજાજમાં જોવા મળી હતી. માટે આગામી દિવસોમાં પણ કોંગ્રેસના નેતાઓ માત્ર ફોટો સેશન્સ કરાવવાના બદલે લોકો સુધી અસરકારક રીતે પહોંચે અને આંદોલનાત્મક કાર્યક્રમો આપે તે જરૂરી છે.
લોકસભાની ચૂંટણીમાં ૧૦ વર્ષ બાદ ગુજરાતમાં બનાસકાંઠાની એક બેઠક મળતાં જોરમાં આવી ગયેલી કોંગ્રેસને રાજકોટનો ટીઆરપી ગેમઝોન વાળો સંવૈદનશીલ મુદ્દે મળી ગયો હતો અને આ મુદ્દાને કોંગ્રેસના નેતાઓ જનતા સમક્ષ જોરશોરથી રજૂ કરવામાં સફળ થયા હતાં. જેના કારણે લાંબા સમય બાદ કોંગ્રેસના કોઈ આંદોલનને જબરી સફળતા મળી છે. આ આંદોલનને વેગ આપવા કોંગ્રેસના લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં જ મુકામ કર્યો હતો. જ્યારે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, મનીષ દોશી, સેવા દળના લાલજી દેસાઈ સહિતના ટોચના નેતાઓએ રાજકોટના રસ્તાઓ ઉપર ઉતરી પડયા હતાં. સાથોસાથ શહેર કોંગ્રેસને કાયમ એક બીજાના ટાંટીયા ખેંચતા નેતાઓ પણ પ્રથમ વખત એક સાથે જોવા મળ્યા હતાં.
કોંગ્રેસના આ આંદોલનથી પ્રથમ વખત કરંટ પણ દેખાયો છે અને એક પણ સાબિત થઈ ગયું છે કે જો કોંગ્રેસના નેતાઓ એક જૂથ થઈને મેદાનમાં ઉતરે તો અસરકારક આંદોલન કરી સરકારને ભીષમાં મકી શકે છે.
રાજકોટ બંધને સફળ બનાવવા દેશભરમાંથી સેવાદળના કાર્યકર્તાઓ શેરી-ગલીઓ ખુંદી વળ્યા
રાજકોટ અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસનું બંધનું એલાન સફળ રહ્યું હતું. આ બંધને સફળ બનાવવા માટે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉપરાંત દેશભરમાંથી ૧૫૦ થી વધુ સેવાદળના સીપાહીઓ ઉમટી પડયા હતાં. છેલ્લા એક અઠવાડિયાથી શ્વેત આર્મી તરીકે ઓળખાતા આ કાર્યકર્તાઓ ગલી-શેરીઓ- બજારોમાં ફરીને પત્રીકાઓ વહેંચી રહ્યા હતાં. રાજકોટ આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અગ્ની બંસલે જણાવ્યું હતું કે, ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છતીસગઢ અને તેલંગણા સહિતના રાજ્યોમાંથી સેવા દળના કાર્યકર્તાઓ રાજકોટમાં ઉતરી પડયા હતા અને દરેક બજારોમાં ફરીને લોકોને બંધ પાળવા સમજાવ્યા હતાં.