પાક. આતંકીને ફાંસીની સજા યથાવત, રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવી
2000માં લાલ કિલ્લા સંકુલમાં આતંકવાદી હુમલાની ઘટના
24 વર્ષ જૂના લાલ કિલ્લા હુમલા કેસમાં દોષિત પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આરીફ ઉર્ફે અશફાકની મુશ્કેલીઓ વધી ગઈ છે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઇકાલે આતંકવાદીની દયા અરજી ફગાવી દીધી હતી. 25 જુલાઈ, 2022 ના રોજ પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ દ્વારા નકારી કાઢવામાં આવેલી આ બીજી દયા અરજી છે.3 નવેમ્બર, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે આરિફની રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી અને કેસમાં તેને આપવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી હતી. જો કે, નિષ્ણાતો માને છે કે દોષિત હજુ પણ બંધારણની કલમ 32 હેઠળ લાંબા વિલંબના આધારે તેની સજામાં ઘટાડો કરવા માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરી શકે છે.
આ હુમલામાં ઘૂસણખોરોએ 22 ડિસેમ્બર 2000ના રોજ લાલ કિલ્લા સંકુલમાં તૈનાત 7 રાજપૂતાના રાઈફલ્સની એક યુનિટ પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. આરીફ, પાકિસ્તાની નાગરિક અને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (કયઝ) ના સભ્ય, હુમલાના ચાર દિવસ પછી દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.
2022ના કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, અપીલ કરનાર-આરોપી મોહમ્મદ આરીફ ઉર્ફે અશફાક પાકિસ્તાની નાગરિક હતો અને તેણે ગેરકાયદેસર રીતે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. આરિફને અન્ય આતંકવાદીઓ સાથે મળીને હુમલાનું કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને ઓક્ટોબર 2005માં ગૌણ અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ત્યારપછીની અપીલોમાં આ નિર્ણયને યથાવત રાખ્યો હતો.