ભાવનગરની સદ્ભાવના હોસ્પિટલના ત્રણ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત
ગર્ભાશયની કોથળી સાફ કરવાનું ઓપરેશન કરવા માટે સદભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી મહિલા ઓપરેશન બાદ ભાનમાં ન આવતાં અને તેનું મૃત્યુ થતાં તબિબોની બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ થયું હોય મહુવા રૂૂરલ પોલીસે ત્રણ તબિબ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જે તબિબ એનેસ્થેસીયા આપવા માટે અધિકૃત નથી તેણે તેમજ અન્ય એક બી.એ.એમ.એસ. તબિબે મહિલા પેશન્ટને એનેસ્થેસીયા આપ્યું હતું અને આ પ્રકારની બેદરકારીના કારણે મહિલા પેશન્ટનું મોત થયું હતું.
ગણપતભાઇ જેસીંગભાઇ બારૈયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કળસારની સદભાવના હોસ્પિટલના ત્રણ તબિબના નામ જણાવવામાં આવ્યાં છે જેમાં ડો.પ્રવીણ જાનાભાઇ બલદાણીયા, ડો.જીતેશ પ્રવીણભાઇ કળસરીયા અને ડો.મંથન ઉમેદભાઇ સોજીત્રાના નામ જણાવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના ભાભી કાજલબેનની સારવાર સદભાવના હોસ્પિટલમાં ચાલતી હતી અને ડોક્ટરે તેમના ગર્ભાશયની કોથળી સાફ કરવી પડશે તેમ કહેતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તા.13 ઓગસ્ટના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ઓપરેશન બાદ કાજલબહેનને ઓપરેસન થિયેટરમાંથી વોર્ડમાં લઇ જવાયા હતા પરંતુ તેઓ ભાનમાં આવ્યા ન હતા એટલે તબિબે તેમને મહુવાના અન્ય એક ખાનગી તબિબને ત્યાં સારવાર માટે મોકલ્યા હતા અને ચિઠ્ઠી લખી આપી હતી. જો કે, તેમ છતાં કાજલબહેન ભાનમાં ન આવતા તેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જે તે સમયે આ બનાવ અંગે મહુવા રૂૂરલ પોલીસ સ્ટેશનમાં તબિબની બેદરકારીના કારણે મોત થયું હોવાની અરજી આપવામાં આવી હતી અને ત્યાર બાદ કાજલબહેનનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં તબીબની નિષ્કાળજી સપાટી પર આવી હતી.
ફોરેન્સીક પી.એમ. કર્યા બાદ કમીટીએ તેના રિપોર્ટમાં ત્રણ તબિબોની બેદરકારીના કારણે કાજલબહેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું અને તેમાં ડો.પ્રવીણ બલદાણીયા સંપૂર્ણ ટ્રેઇન નથી અને તે માત્ર ઇમરજન્સીમાં જ એનેસ્થિસિયા આપવા અધિકૃત હોવાનું અને ડો.જીતેશ બીએએમએસ ડોક્ટર હોવા છતાં તેણે એનેસ્થેસિયા આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ ડો.મંથને પ્લાન્ડ ઓપરેશન હોવા છતાં એનેસ્થેટીકને ન બોલાવી બેદરકારી દાખવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ત્રણે તબિબ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.