પડધરીમાં સગાઈમાં આવવાની ના પાડનાર વેવાઈ ઉપર પિતા-પુત્ર સહિતનાનો હુમલો
ફૂલના વેપારીના ઘરે આવી પુત્રના સસરા અને સાળાએ આતંક મચાવ્યો
પડધરીમાં રહેતા ફુલના વેપારી ઉપર વેવાઈ પક્ષે સગાઈમાં નહીં આવવા બાબતે ઝઘડો કરી હુમલો કરતા આ અંગે પડધરી પોલીસમાં એક જ પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ પડધરીના મોવૈયામાં રહેતા અને ફુલનો વેપાર કરતા સાગર મનસુખ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં તેના સસરા સુરેશ મુળજીભાઈ મકવાણા, સાળો હિતેન સુરેશ મકવાણા, અજય કમલેશ મકવાણા અને તેના પિતા કમલેશ ચંદુભાઈ મકવાણા સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સાગરના મોટા સસરા કમલેશ ચંદુ મકવાણાની પુત્રીની સગાઈ હોય જેમાં સહપરિવાર આવવા માટે આમંત્રણ આપ્યું હોય પરંતુ સાગરના પિતા મનસુખભાઈએ સહપરિવાર આવવાની ના પાડી પુત્ર અને પુત્રવધુ આવશે તેમ કહ્યું હતું. કારણ કે, સાગરના દાદીના અવસાનમાં તેના સસરા પક્ષેથી કોઈ આવ્યું ન હોય જે બાબતે મનસુખભાઈએ સગાઈમાં આવવાની ના પાડતા તેનો ખાર રાખી સાગરના સસરા અને તેના સાળા સહિતના ટોળાએ ઘરે આવી આતંક મચાવી મનસુખભાઈ ઉપર હુમલો કર્યો હતો. અને ગાળો આપી જો સગાઈમાં નહીં આવો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.