વેરાવળ-તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજકોટના બે સહિત ચાર આરોપી પકડાયા
વેરાવળ અને તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હોય તેમાં મધ્ય પ્રદેશ ની મહિલા સહિત ચાર આરોપીઓને રૂૂા.2.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વેરાવળ અને તાલાલામાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. એલ.સી.બી.ના એ.એસ.આઈ. અજીતસિંહ પરમાર તથા મીસીંગ સેલ ના પો.હેડ કોન્સ.નરેન્દ્રભાઈ પટાટ સહિતનાને મળેલ બાતમી તથા એ.એસ.આઇ. ભુપેન્દ્રસિંહ ચાવડા ના સચોટ ટેકનિકલ એનાલીસીસ આધારે પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયર ની મહિલા આરોપીને ધ્રાંગધ્રાથી ઝડપી લીધી છે. સાથે ત્રણ શખ્સોને પણ દબોચ્યા છે.
જેમાં પકડાયેલા આરોપીઓની વિગત (1) ડોલીબેન સુરેન્દ્ર યાદવ ઉ.વ.38 હાલ રહે. ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર; મૂળ રહે. બિલોવા, ગ્વાલિયર, મધ્યપ્રદેશ. (2) અમીત સોલંકી ઉ.વ.25, રહે. દાનેવ સોસાયટી, ચલાલા, અમરેલી. (3) સુનીલ ઉઘરેજીયા ઉ.વ.18, હાલ રહે. નરસંગપરા હોસ્પિટલ ચોકની બાજુમાં, રાજકોટ; મૂળ રહે. દાનેવ સોસાયટી, ચલાલા, અમરેલી. (4) વિશાલ સોલંકી ઉ.વ.18, હાલ રહે.ચામુંડા હોટલની પાછળ, ખોડિયાર પરા વિસ્તાર, રાજકોટ; મૂળ રહે. દાનેવ સોસાયટી, ચલાલા, અમરેલી વાળા ને ઝડપી લઇ પુછપરછ કરતા વેરાવળના આલોક એપાર્ટમેન્ટમાં તા.1 મે ના વિરેન્દ્રભાઇ રામાણીના ઘરમાંથી રૂૂા.1.45 લાખની મત્તા ચોરી કરી હતી અને એ જ દિવસે તાલાલામાં જગદીશભાઈ સોલંકી ના ઢાળિયા માંથી રોકડ અને દાગીના ચોરાયા હતા. પોરબંદરના હસમુખભાઈ પરમાર ના બે મોબાઇલ ફોન પણ ચોરાયા હતા.
ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ મહિલા આરોપી પાસેથી રોકડ રૂૂા.1,01,000 તથા સોનાની વીંટી, બે મોબાઇલ ફોન, સોનાનું લોકેટ, નથ અને ચાંદીની વીંટી ઓ મળી કુલ રૂૂા.1,62,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે અન્ય ત્રણ આરોપી ઓ અમિત સોલંકી, સુનિલ ઉઘરેજીયા અને વિશાલ સોલંકી ની પણ ધરપકડ કરી છે. તેમની પાસેથી સોનાના દાગીના, મોટરસાઇકલ અને રોકડ મળી કુલ 95,000 નો મુદ્દામાલ કબજે કરાયો છે.
એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાયેલ જેમાં આરોપીઓ અગાઉ 17 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.