ધોરાજીના ફરેણી ગામે તેતરનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા
ધોરાજીમાં વન વિભાગના અધિકારી નિહારિકા પંડયાએ તેતર પક્ષીને બચાવી લઈને તેનો શિકાર કરનાર બે વ્યકિતઓને ઝડપી લીધા હતા. ધોરાજીના ફરેણી ગામની સીમમાં તપાસ કરવા ગયેલા ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડયાને બે વ્યકિત પર શંકા જતા તેઓની તપાસ કરતા ઘટનાસ્થળેથી બે તેતર પક્ષી અને એક નાનું બચ્ચું મળી આવ્યું હતું. જેથી આ શખ્સોને ઝડપી લઈ તેઓની સામે વન્ય પ્રાણીની અધિનિયમ હેઠળ ગુનો નોંધી 40 હજાર રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મળતી વિગતો અનુસાર, અબોલ પશુઓ અને પ્રકૃતિ પ્રત્યે કાર્યવાહી કરવામાં સક્રિય રહેતા ધોરાજીના ફોરેસ્ટ ઓફિસર દ્વારા વધુ એક તવાઈ બોલાવવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીના ફરેણીની સીમમાં તપાસ કરવા નિકળેલાં ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડયાએ તેતર પક્ષીનો શિકાર કરનાર બે શખ્સોને સ્થળ પર તેતર અને તેના બચ્ચાં સાથે ઝડપી તેઓની સામે કાયદેસર કાર્યવાહી રુપે દંડ અને વન્ય પ્રાણી અધિનિયમોની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ફોરેસ્ટ ઓફિસર દ્વારા મનસુખ બહાદુરભાઇ રાઠોડ અને પ્રવીણ ચંદુભાઈ વાઘેલાને ફરેણી ખાતેથી ઝડપી પાડયા હતા.