લઘુમતી ભાજપ અગ્રણી પિતા પુત્રના હત્યા કેસમાં બે આરોપી તકસીરવાન: 19મીએ સજાનું એલાન
9 વર્ષ પહેલાં ઘરમાં ઘુસીને ગોળીબાર કરી પિતા-પુત્રની હત્યા કરી’તી
શહેરના રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના આગેવાન, લઘુમતી અગ્રણી અને હજ કમિટીના નેશનલ મેમ્બર ઇલ્યાસખાન પઠાણ તથા તેના પુત્ર આસીફના ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરવાના વર્ષ 2015ના ચકચારી ડબલ મર્ડર કેસમાં અદાલતે બે આરોપી અબ્બાસ અનવરભાઈ કચરા અને સાજીદ હુશેનભાઈ કચરાને તકસીરવાન ઠેરવ્યા છે. સજાના હુકમ માટે તા. 19 માર્ચ મુકરર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રૈયા રોડ પર આમ્રપાલી ફાટક નજીક સુભાષનગર શેરી નં.9માં રહેતા ઈલ્યાસખાન પઠાણના ઘરમાં 22 ઓગષ્ટ, 2015ના શનિવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ઘૂસી ગયેલા કચરા પરિવારના સભ્યોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તેમજ છરી,ધોકાથી હૂમલો કર્યો હતો. કચરા પરિવાર અને પઠાણ પરિવાર વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં ભાજપ અગ્રણી અને હજ કમિટીના નેશનલ સભ્ય ઇલ્યાસખાન પઠાણ તથા તેના આસીફને ગંભીર ઇજા થઇ હતી. મોટા પુત્ર આરીફને પણ છરીના ઘા મરાયા હોવાથી ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામા પક્ષે અબ્બાસ અનવભાઈ કચરાને પણ ગંભીર ઇજા થઈ હતી હુમલામાં ઘવાયેલા લઘુમતી આગેવાન ઇલ્યાસખાન અને તેના પુત્ર આસિફે દમ તોડી દેતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. પોલીસે સ્થળ પરથી રિવોલ્વોર, પિસ્ટલ, છરી, ધોકો, બાઇક અને ફૂટેલા કારતૂસના ખાલી ખોખા કબ્જે કર્યા હતા.
ઇલ્યાસખાનના પુત્ર આરીફની ફરિયાદ પરથી અબ્બાસ અનવરભાઈ કચરા અને સાજીદ ઉર્ફે મોહસીન હુશેનભાઈ કચરા વિરૂૂધ્ધ ડબલ મર્ડર તેમજ હત્યાની કોશિષનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.જે કેસમાં તપાસ અધિકારી દ્વારા બંને આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સ્પે. પીપી દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ અદાલતે લઘુમતી અગ્રણી પિતા-પુત્રના હત્યારા આરોપી અબ્બાસ કચરા અને સાજીદ કચરાને તકસીરવાન ઠેરવતો હુકમ કર્યો છે. સજાનો હુકમ 19 માર્ચે સંભાળવવામાં આવશે.