હળવદમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી કારખાનેદારનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત
હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદારએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કેદરીયા પાટિયા રોડ પર વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. મૃતક વેપારી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે પોલીસે સુસાઈડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ-માળિયા હાઇવે પર કેદારીયા પાટિયા પાસે અનાજ સાફ કરવાની ફેક્ટરી ધરાવતા નવનીત રૃગનાથભાઈ આદ્રોજા (ઉં.વ.44, રહે.ઉમા સોસાયટી, હળવદ) આજે સવારે તેઓ રાબેતા મુજબ કારખાને ગયા હતા. ત્યાં તેમણે પોતાની ક્રેટા ગાડીમાં બેસીને ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું.
નવનીતભાઇના પાર્ટનર ગૌરવભાઈ સાડા નવ વાગે કારખાને આવ્યા ત્યારે કારમાં બેભાન અવસ્થામાં નવનીત ભાઈને જોતા તાત્કાલિક 108ને જાણ કરી હતી. 108એ 112 નંબરમાં જાણ કરતાં હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હળવદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે નવનીત ભાઈને મૃત જાહેર કર્યા હતા.પોલીસને તપાસ દરમિયાન મૃતક નવનીત આદ્રોજા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નોટમાં કારખાનેદારે વ્યાજખોરો દ્વારા કરવામાં આવતા ત્રાસ અને બેંકની લોનના હપ્તા ન ભરી શકવાને કારણે થતી ઉઘરાણીથી પોતે કેટલા કંટાળી ગયા હતા તેનો ઉલ્લેખ કર્યોે છે.
મૃતકના પરિવારજન સુરેશભાઈએ જણાવ્યું હતું કે સુસાઈડ નોટમાં અંદાજિત 5થી 6 જેટલા શખ્સોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે જેમાં પવન, શરદ ભગત, સુરેશભાઈ સહિતના અન્યના નામ લખ્યા હતા. જેના કારણે નવનીતભાઈ આ પગલું ભર્યું હતું. આ તમામ શખશો સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનોની માંગણી કરી છે. પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે.