ખનીજ માફિયાઓના ત્રાસથી ત્રણ કૌટુંબિક ભાઇઓનો આપઘાતનો પ્રયાસ
વાંકાનેરના મહિકા ગામનો બનાવ : 50 વર્ષથી લીઝ ઉપરની જમીનમાં ખેતી કરે છે ; ‘ આ લીઝ અમારી છે, ખાલી કરી જતા રહો’ કહી ધમકી આપી મારકૂટ કરતા ત્રણેયે ઝેરી દવા પી લીધી
વાંકાનેરમા મહિકા ગામે ખનીજ માફિયાઓના ત્રાસથી ત્રણ કૌટુંબીક ભાઇઓએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પંચાયતની જમીન ઉપર લીઝ રાખી 50 વર્ષથી ખેતી કરતા પરિવારને ખનીજ માફિયાઓ ‘ આ લીઝ અમારી છે, ખાલી કરી જતા રહો’ તેમ કહી અવાર-નવાર ધમકીઓ આપી મારકૂટ કરતા હોવાથી કંટાળી ત્રણેયભાઇઓએ વાડીએ જ ઝેરી દવા ગટગટાવી દેતા ત્રણેયને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા કલ્પેશ વિનોદભાઇ બાંભણીયા (ઉ.વ.23) તેનો ભાઇ વિશાલ વિનોદભાઇ બાંભણીયા (ઉ.વ.20)અને કૌટૂંબિક ભાઇ યશ હરીભાઇ બાંભણીયા (ઉ.વ.18) ત્રણેય આજે સવારે મહિકા ગામની સીમમાં નદી કાંઠે આવેલી પોતાની વાડીએ હતા ત્યારે ત્રણેયએ એક સાથે ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં કલ્પેશ અને વિશાલના પિતા વિનોદભાઇ બાંભણીયા પંચાયતની જમીન 50 વર્ષથી લીઝ ઉપર રાખી ખેતી કામ કરતા હતા અને પંચાયતને આ જમીનનુ રૂા.15 ભાડૂ ભરતા હતા. આ વિસ્તારમાં નદીકાંઠે ખનીજ માફિયાઓએ લીઝ રાખી હોય અને તેમની ખેતીની જમીન પચાવી પડવા માટે છેલ્લા એક મહિનાથી ત્રાસ આપતા હોય ખનીજ માફિયાઓ આ રેતીની લીઝ અમારી છે.
તમે ખાલી કરી જતા રહો તેમ કહી અવાર-નવાર ધમકી આપી મારકૂટ કરતા હોય આજે પણ ખનીજ માફિયાઓ વાડીએ આવી હેરાનગતી કરતા ત્રણેય ભાઇઓએ ખનીજ માફિયાઓના ત્રાસથી આ પગલુ ભરી લીધાનુ જણાવ્યુ હતું. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.