જામનગરના નાઘેડીમાં યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપી ચાર’દિ રિમાન્ડ પર
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક વિપ્ર યુવાનનું પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરી જઈ ઢોર માર મારવા અંગે અને હત્યા નીપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે પ્રેમિકાના પિતા સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી લીધા બાદ ત્રણેયને ચાર દિવસના રિમાન્ડ પર લેવાયા છે. જ્યારે હત્યા ના પ્રકરણમાં સંડોવાયેલી પ્રેમિકાની ફઈબાની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેણીને જેલમાં મોકલી દેવા આદેશ થયો છે.
જામનગર નજીક નાઘેડીમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના 21 વર્ષની વયના વિપ્ર યુવાનનું પ્રેમ પ્રકરણના કારણે ગત 7 મી તારીખે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ મામલે પ્રેમિકા ક્રિષ્નાબેન કેશવાલા એ પોતાના પ્રેમી મિત્ર આશિષ નું અપહરણ કરી જવા અંગે અને ઢોર માર મારવા અંગે પોતાના જ પિતા વિક્રમભાઈ કેશુભાઈ ઓડેદરા, તેમજ ફુવા રામદેવભાઈ લાખાભાઈ બોખીરિયા અને વિવેક કારાભાઈ બોખીરિયા વગેરે સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે હુમલા અને અપહરણ અને ત્યારબાદ હત્યા સંબંધે ગુનો નોંધ્યો હતો, અને ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધા બાદ અદાલત સમક્ષ રજૂ કરાયા હતા, અને ત્રણેયને ચાર દિવસના રિમાન્ડ પર લીધા છે. તેઓ પાસેથી હુમલામાં વપરાયેલા લોખંડના બે પાઇપ તેમજ બે ટુ-વ્હીલર કબજે કરી લેવાયા છે. આ પ્રકરણમાં પ્રેમિકાની ફઈબા નીરૂૂબેન કારાભાઈ બોખીરીયા ની પણ સંડોવણી ખુલી હોવાથી પોલીસ દ્વારા તેની પણ અટકાયત કરી લેવામાં આવી હતી, અને અદાલત સમગ્ર રજૂ કરાતાં તેને જેલ હવાલે કરાઈ છે.
