સોની બજારમાં ચાર લાખના દાગીનાની ચોરી કરનાર ચોર કેશોદમાંથી ઝડપાયો
જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં જૂની સોની બજારમાં એક જ્વેલરી શોપમાં ગ્રાહક ના શ્વાંગમાં આવેલા એક મહિલા અને બે પુરુષો સોની વેપારી ની નજર ચૂકવી રૂૂપિયા ચાર લાખની કિંમતના સોનાના દાગીના ભરેલો ડબ્બો ઉઠાવી ગયા હતા, જે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, અને કેશોદ પોલીસે એક તસ્કર ને ઝડપી લીધો છે. જેની પાસેથી 80 ટકા સોનું રિકવર થઈ ગયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટીમાં રહેતા અને ચાંદી બજાર વિસ્તારમાં જૂની સોની બજારમાં હુસેની જવેલર્સ નામે સોના ચાંદીના ઘરેણાની દુકાન ધરાવતા ફૈઝરભાઈ મામુજીભાઈ નામના 75 વર્ષના વ્હોરા વેપારીએ પોતાની દુકાનમાંથી ગત 25.4.2025 ના સવારે 9.40 વાગ્યા ના અરસામાં ગ્રાહક ના સ્વાંગમાં આવેલી એક મહિલા અને બે પુરુષો કે જેઓ વેપારી ની નજર ચૂકવી રૂૂપિયા ચાર લાખની કિંમતના સોના ના અલગ અલગ દાગીના ભરેલો ડબ્બો ઉઠાવી ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.
જે ફરિયાદ ના અનુસંધાને સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા તેમજ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી રામાનુજ અને રાઇટર ભવદીપસિંહ પરમાર તેમજ તેઓની ટીમ દોડતી થઈ હતી, અને તપાસ શરૂૂ કરી હતી દરમિયાન ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, અને જામનગર થી સોનાના દાગીના ચોરી કરીને ભાગી છુટનાર તસ્કર કેશોદ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જેની પાસેથી 80 ટકા જેટલું ચોરાઉ સોનું કબજે કરી લેવામાં આવ્યું છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેનું નામ રાહુલ ભીમાભાઇ સોલંકી અને કેશોદ પંથકમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે રિમાન્ડ પર છે. જેની રિમાન્ડ ની મુદત પૂરી થયા બાદ જામનગર પોલીસ દ્વારા અદાલતમાંથી તેનો ટ્રાન્સફર વોરંટ ના આધારે કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની સાથે રહેલી એક મહિલા તથા એક સગીરા પણ સોનુ ખરીદવા ગયા હતા. જેઓની પણ પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઇ રહી છે.