ગોરખનાથ મંદિરમાં તોડફોડમાં પૂજારી જ પાપી નીકળ્યો
મંદિર પ્રસિધ્ધ થાય તો વધુ પૈસા મળે તેવી લાલચથી બે શખ્સોએ કૃત્ય આચર્યાનો ઘટસ્ફોટ
જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરખનાથ શિખર પરના મંદિરમાં તોડફોડની ઘટનામાં પૂજારી જ પાપી નીકળ્યો છે અને સમગ્ર હિંદુ સમાજમાં રોષ ફેલાવનાર આ ઘટનામાં પોલીસે પૂજારી સહિત બે હિંદુઓની જ ધરપકડ કરી છે. મંદિર પ્રસિધ્ધ થાય અને દર્શનાર્થીઓ વધુ આવે અને પોતાને વધુ પૈસા મળે તેવા મનસુબાથી આ બન્ને શખ્સોએ કૃત્ય આચર્યુ હોવાનું બહાર આવતા ચકચાર જાગી છે.
જૂનાગઢમાં ગત 5 ઓક્ટોબર, 2025ની રાત્રે ગોરખનાથ શિખર પરના મંદિરમાં મૂર્તિ ખંડિત કરાઈ હોવાની ઘટના બની હતી. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 298, 324(4), 329(3), 54 હેઠળ ગુનો નોંધ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસની 10 ટીમ દ્વારા જૂનાગઢ શહેર મળીને કુલ 156 જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે આજે સોમવારે (13 ઓક્ટોબર) બે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ગોરખનાખ મંદિર ખાતે ફોટોગ્રાફર રમેશભાઈ હરગોવિંદભાઈ ભટ્ટ (ઉં.વ.50, રહે. જૂનાગઢ) અને મંદિરમાં પગારદાર તરીકે કામ કરતા પૂજારી કિશોર શીવનદાસ કુકરેજા સીંધી (ઉં.વ.42 રહે, મહારાષ્ટ્ર)એ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરી હોવાનું જણાયું હતું.
ગિરનાર ગોરખનાથ મંદિરમાં તોડફોડ મામલે શેરનાથ બાપુએ જણાવ્યું કે, ગિરનાર પર 5500 પગથિયા ઉફર ગિરનાર ગોરખનાથનું મંદિર આવેલું છે. રવિવારે (5 ઓક્ટોબર) વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમાં મૂર્તિ તોડનાર અસામાજિક તત્ત્વોએ સૌથી પહેલાં પૂજારીના રૂૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. પરંતુ, જ્યારે ઘોંઘાટ થયો તો અંદર સૂતેલા પૂજારીઓએ બારીમાંથી જોયું તો 4-5 માણસો તેમણે ભાગતા જોયા હતા.