ભાવનગરના અઘેવાડામાં ગોડાઉનમાં તસ્કરોને રોકડ ન મળતાં પાન મસાલાના છ બાચકાં ચોરી ગયા
ઘટના સીસીટીવીમાં કેદ : બે શખ્સોની ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ
ભાવનગરના અધેવાડા ગામમાં આવેલ ગોડાઉનમાંથી રૂૂ.44 હજારની કિંમતના તાનસેન પાન મસાલાના પેકેટ ભરેલા છ બાચકાની ચોરી થયાની ફરિયાદ નોંધાતા તેમજ ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ભાવનગરના અધેવાડા ગામમાં બ્રહ્માણી માતાજીના મઢ પાસે તાનસેન પાન મસાલાનું ગોડાઉન આવેલ હોય અને પાનમસાલાનું હોલસેલ વેચાણ કરતા કોમલબેન સંજયભાઈ સાચપરાએ ગોડાઉનમાં રાખેલ સ્ટોકની ગણતરી કરાવતા પાનમસાલાના બે બોરાની ઘટ જોવા મળી હતી.આ અંગે ગોડાઉનમાં લગાવેલ સીસીટીવી કેમેરાનું ફૂટેજ ચેક કરતા ગત તા.5 એપ્રિલના રોજ રાત્રિના 1.10 વાગ્યા આસપાસ બે અજાણ્યા ઈસમો ગોડાઉનના છાપરા ઉપર ચડ્યા હતા અને બે પૈકી એક ઇસમ છાપરાની ખુલ્લી જગ્યામાંથી ગોડાઉનમાં અંદર ઉતર્યો હતો અને તાનસેન પાન મસાલાના છ બાચકા, કિં.રૂૂ.44,000 છાપરા ઉપર ઉભેલા માણસને આપી બન્ને ઇસમો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે કોમલબેન સાચપરાએ બે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.