માલવિયા ચોકમાં દુકાનદારને મિત્રોએ મશ્કરીમાં માર માર્યો
શહેરમાં વિરાણી ચોકમાં રહેતો યુવાન માલવીયા ચોકમાં પોતાની પાન ફાકીની દુકાને હતો ત્યારે મિત્રોએ મશ્કરીમાં માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિરાણી ચોકમાં રહેતા નિખિલ મહેશભાઈ કોટેચા નામનો 36 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં માલવીયા ચોકમાં આવેલી પોતાની પાન ફાટીની દુકાને હતો ત્યારે તેના મિત્રોએ મશ્કરીમાં ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં 80 ફૂટ રોડ ઉપર અજય કાંટા પાસે રહેતા રામભરત લાલજીભાઈ યાદવ નામનો 28 વર્ષનો યુવાન મધરાતે ચુનારાવાડ ચોકમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.