સદ્ભાવના સોસાયટીના વેપારીના અપહરણનો પ્રયાસ કરનાર સાત પકડાયા
પટેલનગર-4માં સદ્દભાવના સોસાયટી શેરી નં. 1માં રહેતાં અને સોરઠિયાવાડીમાં સીંગ-દાળીયાની દુકાન ધરાવતાં જગદિશભાઈ શાતા (ઉ.વ.67)નું ગઈ તા.23ના રોજ રાત્રે છરીની અણીએ કારમાં અપહરણનો પ્રયાસ કરાયો હતો. જે ગુનામાં ભક્તિનગર પોલીસે બે સગીર સહિત સાત આરોપીઓને ઝડપી લીધા છે. પૈસા પડાવવા માટે આરોપીઓએ અપહરણની યોજના બનાવી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં નિખીલ મુકેશ ચાવડા (રહે. અવધ પાર્ક શેરી નં.4, નવા થોરાળા), કરણ અશોકભાઈ સરવૈયા (રહે. ગોકુલ પાર્ક શેરી નં.3, માંડા ડુંગર), મીત કિશોરભાઈ પરમાર (રહે. નવા થોરાળા શેરી નં.8), નયન જયોતિષભાઈ દાફડા (રહે. નવા થોરાળા મેઈન રોડ શેરી નં.4) અને સુઝલ દિપકભાઈ પરમાર (રહે. નવા થોરાળા શેરી નં.6) ઉપરાંત બે સગીરનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં વધુ બે આરોપીઓ રાહુલ ચાવડા (રહે. જિલ્લા ગાર્ડન ચોક) અને ફરાદ (રહે. ગંજીવાડા)ના નામ ખુલતાં આ બંનેની પોલીસે શોધખોળ જારી રાખી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલી સ્વીફટ કાર, બાઈક અને એકટીવા કબજે કર્યું છે.પોલીસે જણાવ્યું કે એક આરોપી જગદિશભાઈના ઘરે કોઈ કામ અર્થે ગયો હતો. જેથી તેને ખબર હતી કે તેઓ એકલા રહે છે. એટલું જ નહીં પૈસાદાર પણ છે. જેથી પૈસા પડાવવા તેમના અપહરણની યોજના ઘડી હતી.પરંતુ તેમાં સફળ રહ્યા ન હતા.આ કામગીરી ભક્તિનગર પોલીસના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જે.જે.ગોહિલ,હરવીજયસિંહ ગોહિલ,પ્રકાશ મકવાણા અને મયૂર્ધ્વજસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.