ચોરડી ગામે વેરહાઉસમાં 7.49 લાખની મગફળી ચોરી કરનાર તસ્કર ટોળકીની શોધખોળ
ગોંડલ ચોરડી ગામે આવેલ વેર હાઉસમાંથી નાફેડની રૂૂ.7.49 લાખની મગફળીની 287 બોરીની ચોરી થઇ ગયા અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. ચોરીના આ બનાવને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીની ટીમે પણ તપાસ ધમધમાટ શરૂૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે હાલ ગોંડલ ગુંદાળા ચોકડી પાસે રામકૃષ્ણ સોસાયટીમાં રહેતાં અરવીંદભાઈ રામકેશભાઈ મીણા (ઉ.વ.30) એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ તથા જસદણમા કેન્દ્રીય ભંડાર નીગમમાં સહાયક તરીકેના હોદા પર ફરજ બજાવે છે.
આ કંપની ભારતભરમાં અલગ અલગ જગ્યાએ વેરહાઉસ(ગોડાઉન) ઉભા કરી, અલગ અલગ વ્યક્તિઓ તથા પેઢીઓના માલ ગોડાઉનમા ભાડા પેટે સંગ્રહ કરી રાખતા હોય છે. તેઓની હેઠળ જસદણ તથા ગોંડલમાં મળીને કુલ - 120 વેરહાઉસ(ગોડાઉન) આવેલ છે.
તે પૈકી ગોંડલ તાલુકાના ચોરડી ગામે 139/2 પૈકી 1 માં આવેલ પ્લોટ નંબર 7 તથા 8 માં હરસિધ્ધી કેટરફીડ નામનુ ગોડાઉન કંપનીએ 11 મહીનાના ભાડા પેટે રાખેલ છે. આ ગોડાઉનમાં નાફેડ દ્રારા મગફળીની ખરીદી કરીને ભરેલ હતી. આ ગોડાઉનમાં સુપરવાઈઝર તરીકે વિરપુરના રવીભાઈ મકવાણા, સીક્યુરીટી તરીકે ગોમટાના પ્રજ્ઞેશભાઈ દઢાણીયા અને વિરપુરના પ્રફુલભાઈ ચાવડા, જીવરાજભાઈ ચાવડા નોકરી કરે છે. તેઓની કંપનીની મેઇન ઓફીસ અમદાવાદમાં આવેલ છે.
ગોંડલ તાલુકાના ચોરડી ગામે આવેલ ગોડાઉનમા તા.11/02/2025 થી તા.14/02/2025 દરમિયાન નાફેડ દ્રારા મગફળીની ખરીદી કરી કુલ મગફળીની બોરી નંગ- 15876 ભરેલ હતી. જે એક બોરીમાં વજન 35 કિલો હોય છે. તેઓએ ભાડે રાખેલ ગોડાઉનમાં નાફેડ દ્રારા મગફળી મુકવામાં આવેલ ત્યારથી જવારદારી તેઓની રહેતી હોય છે. કંપની દ્રારા ગોડાઉન ઉપર સીકયુરીટી તથા સુરપવાઇઝર તેમજ એરીયા મેનેજર રાખવામાં આવતા હોય છે.
ગઇ તા.21/04/2025 ના તેઓ ઘરે હતાં ત્યારે કંપનીના સુપર વાઇઝર રવીભાઈ મકવાણાએ ફોન કરી જણાવેલ કે, ચોરડી ગામે આવેલ ગોડાઉનના દરવાજાના તાળુ તુટેલ છે અને બહાર મગફળી ઢોળાયેલ હોય તેવી જાણ કરતાં તેવો ગોડાઉન પર પહોંચેલ ત્યારે ત્યાં સીકયુરીટી સહિતનો સ્ટાફ હાજર હતો અને ગોડાઉન પર જોયેલ તો દરવાજાનુ તાળુ તુટેલ હતુ. મગફળી ગોડાઉન બહાર ઢોળાયેલ દેખાતી હતી જેથી ગોડાઉનમાંથી મગફળીની ચોરી થયાનું માલુમ પડયું હતું.
બાદમાં તપાસ કરતા કુલ ત્રણેય સ્ટેગમાંથી મળીને 287 મગફળીની બોરીઓની ચોરી થયેલાનું જણાયેલ આવેલ હતું. જે એક બોરીની કિંમત રૂૂ.2610 હોય છે. તેઓએ સીકયુરીટી તથા અન્ય લોકોની પુછપરછ કરી, આજુબાજુ તપાસ કરેલ પણ કોઈ હકિકત મળેલ નહી, તેમજ આ બનાવ બાબતે સુપરવાઈઝર રવીભાઈ મકવાણાને પુછતા તેઓએ કહેલ કે, ગઇ તા.19 ના હરસિધ્ધી કેટરફીડ ગોડાઉન પર આવેલ હતો, સાંજના સાડા છએક વાગ્યે ગોડાઉન બંધ કરી તાળુ મારી ઘરે જતો રહેલ હતો, આ વખતે ગોડાઉનમાં રહેલ સાતેય સ્ટેગની બોરીઓ બરાબર હોવાનુ જણાવેલ જેથી તા.19 થી તા.21 ના સવારના દરમ્યાન ચોરી થયેલ હોય જેથી કુલ રૂૂ.7.49 લાખની મગફળી ભરેલ બોરીઓની ચોરી થતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકીને ઝડપી લેવા સ્થાનિક પોલીસે ઉપરાંત એલસીબીએ તપાસ હાથ ધરી છે.