ગિરનારના જંગલમાં ચંદનચોરો ત્રાટક્યા
સાતેક વૃક્ષો કાપી નાખ્યાં, ફોરેસ્ટ સ્ટાફ ઉપર કુહાડી-કરવત ફેંકી ભાગી છૂટતા જંગલમાં સર્ચ ઓપરેશન
જૂનાગઢના દાતાર જંગલમાં પપુષ્પાથ સ્ટાઇલમાં ચંદનની ચોરીનો બનાવ સામે આવ્યો છે. દાતાર સિદ્ધિ નજીક 21 જુલાઈની મધરાતે બે વાગ્યે વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષ કાપવાનો અવાજ સંભાળાતા વનકર્મીઓ પહોંચ્યા તો ચંદનચોરોે હુમલાનો પ્રયાસ કરી ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી મુજબ મધરાતે બે વાગ્યે વન વિભાગના સ્ટાફ અવાજ સંભળાતા વનકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જેમણે બે શખ્સોને કુહાડી અને કરવત સાથે ચંદનના વૃક્ષો કાપતા જોતા તાત્કાલિક RFO અને નાયબ વન સંરક્ષક અક્ષય જોશીને જાણ કરી હતી. આ દરમિયાન તસ્કરોેએ વન વિભાગના સ્ટાફ પર કુહાડી-કરવત ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કોઈને ઈજા થઈ નથી. આ દરમિયાન ભારે વરસાદ અને ગીચ જંગલનો લાભ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાબ બાદ 25 જેટલા વન સ્ટાફે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જંગલ, બોર્ડર વિસ્તાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ખાનગી વાહનોની તપાસ કરવામાં આવી છે. આ ઘટનામાં 6-7 ચંદનના વૃક્ષો કપાયેલા મળી આવ્યા છે. સ્થળ પરથી કુહાડી અને કરવત કબજે કરવામાં આવ્યા છે.
આ ઘટનાથી ચંદનના મૂલ્યવાન વૃક્ષોની સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે.વન વિભાગ દ્વારા તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ પ્રકારની ચંદન ચોરીની ઘટનાઓ વન વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. વૃક્ષોને બચાવવા અને ચંદન ચોરીને અટકાવવી એ વન વિભાગ માટે મોટો પડકાર બની રહ્યો છે.