સાંતલપુરમાં સાધુને મહિલાના કપડા, પગમાં પાયલ પહેરાવી સળગાવી દીધા
પાટણના સાંતલપુરમાં સાધુને મહિલાના કપડા પહેરાવીને સળગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે, સાધુની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે સાધુની હત્યા કરવામાં આવી છે, તો સમગ્ર ઘટનામાં પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
પાટણના જાખોત્રા ગામમાં સાધુને સળગાવી મૃતદેહને રોડ પર ફેંકી દીધો હોય તેવી વાત સામે આવી છે,
સાધુને મહિલાના કપડાં અને પગમાં પાયલ પહેરાવ્યા છે અને ત્યારબાદ સળગાવી દેવામાં આવ્યા છે, અર્ધ સળગેલી હાલતમાં સાધુનો મૃતદેહ મળતા ભારે ચકચાર મચ્યો છે, સાધુની હત્યા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને સ્થાનિકોના નિવેદન લીધા છે.
સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે આધેડ વયના સાધુનો મૃતદેહ મળી આવ્યો છે, હરજીભાઇ દેવાભાઇ સોલંકી નામના આધેડ વયના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે,મરણજનાર વ્યક્તિ જાખોત્રા ગામના નજીકમાં આવેલ વૌવા ગામમાં (ભિક્ષુક)સાધુ તરીકેનું જીવન જીવતા હતા અને પોતાનું જીવન ગુજારતા હતા, મૃતકને ફિલ્મી ઢબે મારીને સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે.
મૃતકના મૃતદેહનું પેનલ તેમજ ફોરેન્સિક પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ મોતનું સાચુ કારણ સામે આવશે હાલમાં તો જે રીતે મૃતદેહ મળ્યો છે તે જોતા તો એવું જ લાગે છે કે મૃતકની કોઈ અજાણ્યા વ્યકિત દ્વારા હત્યા કરવામાં આવી છે.