બોગસ હથિયાર પરવાનાનું રાજકોટ કનેક્શન, કારખાનેદારની ધરપકડ
નાગાલેન્ડથી હથિયાર પરવાનો મેળવનાર કારખાનેદાર પાસેથી પિસ્તોલ કબજે કરતી ક્રાઇમ બ્રાંચ
ગુજરાતમા અન્ય રાજયોમાથી હથીયાર પરવાના મેળવવાનાં રાજય વ્યાપી કૌભાંડનાં છેડા રાજકોટ સુધી પહોંચ્યા છે. નાગાલેન્ડથી આવુ બોગસ હથીયાર લાયસન્સ મેળવનાર રાજકોટનાં કારખાનેદારને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધો હતો. અમરનાથની યાત્રામા એજન્ટનો ભેટો થતા તેણે આ લાયસન્સ માટે વાત કરતા તેની મદદથી તેને બોગસ હથીયાર પરવાનો મેળવ્યો હતો.
મળતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચનાં એએસઆઇ ચેતનસિંહ ગોહીલ તથા દિપકભાઇ ડાંગર અને ઉમેશભાઇ ચાવડાને મળેલી બાતમીનાં આધારે શહેરનાં ખોડીયાર પરામા રહેતા અને ટ્રેકટરનાં પાર્ટસ બનાવવાનુ દ્વારકાધિશ નામનુ કારખાનુ ચલાવતા પ્રવિણ પ્રતાપ છૈયા (ઉ.વ. 41) ની ધરપકડ કરી હતી તેની પાસેથી પિસ્તોલ અને 14 કાર્ટીસ મળી આવ્યા હતા. પ્રવીણે પોતાની પાસે ઓલ ઇન્ડીયાનો હથીયાર પરવાનો હોવાનુ જણાવ્યુ હતુ જે બાબતે ખરાઇ કરતા નાગાલેન્ડનાં દીમાપુરમાથી વર્ષ ર0રર મા આ હથીયાર લાયસન્સનો પરવાનો મેળવી હથીયાર ખરીદયુ હોય પરંતુ લાયસન્સ રીન્યુ નહી કરાવતા તે લાયસન્સ હાલ રદ થઇ ગયુ હોય. જેથી તેનાં સામે ગુનો નોંધી પિસ્તોલ અને જીવતા કાર્ટીસ કબજે લીધા હતા.
સુરેન્દ્રનગર એસઓજી અને ગુજરાત એટીએસએ ઝડપી પાડેલા બોગસ હથીયાર પરવાનાનાં નેટવર્ક બાદ આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાંચે પણ આવુ નકલી હથીયારનુ રેકેટ ઝડપી પાડયુ હોય તપાસમા જાણવા મળ્યુ કે પ્રવિણ અમરનાથની યાત્રાએ ગયો ત્યારે તેની સાથે યાત્રામા જોડાયેલ એક શખ્સ તેને મળ્યો હતો અને નાગાલેન્ડથી ઓલ ઇન્ડીયા હથીયાર પરવાનાની વાત કરતા પ્રવિણે આ હથીયાર પરવાનો મેળવ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાંચનાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ અને તેમની ટીમે વિશેષ તપાસ શરૂ કરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાંચે આ મામલે તપાસ કરી આવા નકલી પરવાના મેળવી રાજકોટમા કેટલા લોકોએ હથીયાર મેળવ્યા છે તે મામલે વધુ તપાસ શરૂ કરી છે. કારખાનેદારની પુછપરછનાં આધારે તેની પાસે રહેલ ઓલ ઇન્ડીયા હથીયાર લાયસન્સ અંગેની પુછપરછમા આ હથીયાર એજન્ટની મદદથી કલકતાથી ખરીદ કર્યુ હોવાનુ પણ સામે આવ્યુ છે. આ આંતર રાજય નેટવર્કમા અન્ય કોની કોની સંડોવણી છે તે મામલે તપાસ શરૂ કરવામા આવી છે.