પોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકા
હિરલબા અને તેની ગેંગે અનેક લોકોના બેંક ખાતા ખોલાવી, રાષ્ટ્રવ્યાપી ફ્રોડના ગેરકાયદેસર નાણાની હેરાફેરી કરી: 35.70 લાખના વ્યવહાર મળ્યા, અનેક મોટા માથાની સંડોવણીની શંકયતા
પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને એક મોટા ઓનલાઈન છેતરપિંડીના કેસમાં સખત કાર્યવાહી કરતા ₹9.35 કરોડની જંગી રકમના સાયબર ક્રાઈમના નાણાંની ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલા એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર હિરલબા જાડેજા અને તેના મુખ્ય સાગરિતો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન રણછોડભાઈ વાજા, અજય મનસુખભાઈ ચૌહાણ અને હિરલબાનો ડ્રાઇવર રાજુ મેર તેમજ અન્ય તપાસમાં ખુલે તે તમામ લોકો સામે ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ ગેંગે કથિત રીતે ભોળા અને ગરીબ લોકોને ખોટા પ્રલોભનો અને લાલચો આપીને તેમના બેંક ખાતા ખોલાવ્યા હતા અને ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં વિવિધ લોકો સાથે થયેલી સાયબર ક્રાઈમની છેતરપિંડીના કરોડો રૂૂપિયા ટ્રાન્સફર કરવા માટે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી હિરલબા જાડેજાએ આ સમગ્ર કાવતરું પોતાના નિવાસસ્થાને જ રચ્યું હતું. તેણે કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાના વિશ્વાસુ માણસો તેમજ જયેશ ઢાંકેચા અને કમલેશ દાસા જેવા આ સમગ્ર બાબતથી તદ્દન અજાણ લોકોના પણ કપટપૂર્ણ રીતે બેંક ખાતા ખોલાવ્યા હતા. ત્યારબાદ આ તમામ ખાતાઓનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ દ્વારા ભોગ બનનારા લોકો પાસેથી પડાવેલા કરોડો રૂૂપિયાની વારંવાર હેરાફેરી કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ જયેશ ઢાંકેચા અને કમલેશ દાસાના સહી કરેલા ચેક પણ મેળવી લીધા હતા અને તેમના ખાતામાંથી મોટા પ્રમાણમાં નાણાં ઉપાડી લીધા હતા. વધુમાં, પાર્થ સોંગેલા, અજય ચૌહાણ અને મોહન વાજાના ખાતાઓમાં આરોપીઓએ પોતે જ સીધા નાણાં ઉપાડીને અથવા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને ગેરકાયદેસર રીતે સગેવગે કરી દીધા હતા.
આ વિશાળ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અગાઉ નોંધાયેલા એક ઓનલાઈન છેતરપિંડીના કેસની ઝીણવટભરી તપાસ ચાલી રહી હતી. આ તપાસ દરમિયાન, સાયબર ક્રાઈમ સંબંધિત રાષ્ટ્રીય સ્તરના સમન્વય પોર્ટલ દ્વારા પોરબંદર જિલ્લામાં ઉપયોગમાં લેવાતા કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે વધુ તપાસ કરતા પોરબંદર એમ.જી. રોડ પર આવેલી કોટક મહિન્દ્રા બેંકની શાખાના કુલ 14 શંકાસ્પદ બેંક ખાતાઓની ઓળખ થઈ હતી. આ 14 ખાતાઓની પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે તેમાંથી 5 બેંક ખાતાઓમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલા સાયબર ક્રાઈમના ગુનાઓ દ્વારા છેતરપિંડીથી મેળવેલા કરોડો રૂૂપિયાના અનેક ટ્રાન્જેક્શન થયા હતા.
આ કેસની વધુ તપાસ માટે પોલીસે કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓના નિવેદનો નોંધ્યા અને શંકાસ્પદ ખાતાધારકો જયેશ ઢાંકેચા અને કમલેશ દાસાની પણ સઘન પૂછપરછ કરી. તેમની પૂછપરછમાં ચોંકાવનારી અને હૃદયદ્રાવક વિગતો સામે આવી. ભોગ બનનારાઓએ પોલીસને જણાવ્યું કે હિરલબા જાડેજાના માણસોએ તેમને બેંકમાં ખાતું ખોલાવવા માટે વિવિધ પ્રલોભનો આપ્યા હતા અને ખાતું ખોલાવ્યા બાદ તેમના એટીએમ કાર્ડ અને ચેકબુક જેવી મહત્વની વસ્તુઓ પણ લઈ લેવામાં આવી હતી. ત્યારબાદ તેમના ખાતામાંથી મોટા પ્રમાણમાં નાણાં ઉપાડવામાં આવ્યા હતા, જેની તેમને કોઈ જાણ પણ કરવામાં આવી ન હતી.
ભોગ બનનારાઓએ જણાવ્યું કે તેઓ આ સમગ્ર કૌભાંડથી તદ્દન અજાણ હતા અને તેમને માત્ર બેંકમાં ખાતું ખોલાવવાથી થોડા ફાયદા થશે તેવી વાત કરવામાં આવી હતી.આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસે આરોપીઓ હિરલબા જાડેજા અને તેના સાગરિતો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ)ની કલમ 120(બી) (ગુનાહિત કાવતરું), 411 (ચોરાયેલી મિલકત કબજે કરવી), 413 (વારંવાર ચોરાયેલી મિલકતનો વેપાર કરવો), 420 (છેતરપિંડી અને અપ્રમાણિક રીતે મિલકત પડાવી લેવી) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66(ડી) (કોમ્પ્યુટર સાધનનો ઉપયોગ કરીને છેતરપિંડી) હેઠળ ગંભીર ગુનાઓ નોંધ્યા છે. પોલીસ હવે આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ નાણાંનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે માહિતી મેળવી રહી છે. પોલીસને આશા છે કે આ તપાસમાં અનેક મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવી શકે છે.