જૂનાગઢમાં પત્નીના આપઘાત કેસમાં પોલીસમેન ઝડપાયો, રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ
આરોપીના કોની સાથે આડાસંબંધ હતા ? ફરાર થયા બાદ કયાં છૂપાયો હતો ? તે દિશામાં તપાસ
પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરની પોલીસે ગડુ, ઝડકા રોડ પરથી ધરપકડ કરી રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી છે. માળિયાના માતરવાણીયા ના વતની અને મેંદરડા પોલીસ ક્વાર્ટસમાં રહેતા ભેસાણ બદલી પામેલા કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરને પોલીસે પત્ની ભાવિશાબેનના આપઘાત કેસમાં પોલીસે શનિવારે રાઉન્ડઅપ કર્યો હતો. બાદમાં રવિવારે વિધિવત તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. અન્ય મહિલાઓ સાથેના સંબંધોને કારણે ત્રાસ આપી મારકુટ કરી ભાવિશાબેનને મરવા મજબૂર કરતા પિયર પીખોર ગામે ગઇ તા. 11 નવેમ્બરના રોજ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
મૃતકના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરીયાએ પોલીસ કર્મી જમાઈ આશિષ દયાતર વિરુદ્ધ ભાવિશાબેનને મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ થતા શખ્સ નાસી ગયો હતો. જોકે ચોરવાડના પીઆઇ એસ. આઈ. મંઘરા સહિતની ટીમે શનિવારે સાંજે કોન્સ્ટેબલ આશિષ દયાતરને ગડુ, ઝડકા રોડ પરથી રાઉન્ડ અપ કર્યા બાદ રવિવારે ધરપકડ કરી અન્ય મહિલાઓ સાથેના આડા સંબંધ સહિતના મુદે પૂછપરછ હાથ ધરી હતી. પરિણીતાના આપઘાત કેસ બાદ આરોપી ફરાર દરમ્યાન ક્યાં ક્યાં છૂપાયો હતો, કોની કોની સાથે અનૈતિક સંબંધ હતા સહિતના મુદે પૂછપરછ, તપાસ માટે સોમવારે આપી આશિષને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.