લાઇનબોય સાથે ઝઘડો થયાની અરજીના આધારે પોલીસે આધેડને માર માર્યાનો આક્ષેપ
શહેરમા રૈયાધાર વિસ્તારમા રાણીમા રૂડીમા ચોકમા રહેતા આધેડ રામાપીર ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહયા હતા ત્યારે લાયનબોયને સ્કુટર જોઇને ચલાવવાનુ કહેતા આધેડ સાથે લાયનબોયે ઝઘડો કરી પોલીસમા અરજી કરી હતી. અરજીનાં કામે મુંજકા પોલીસ ચોકીનાં સ્ટાફે આધેડની અટકાયત કરી માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે આધેડને સારવાર માટે ખસેડવામા આવ્યા છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમા આવેલા રાણીમા રૂડીમા ચોકમા રહેતા દિનેશભાઇ કરશનભાઇ મકવાણા (ઉ.વ. પ0) રાત્રીનાં નવેક વાગ્યાનાં અરસામા મુંજકા પોલીસ ચોકી ખાતે હતા ત્યારે પીએસઆઇ પંડયા સહીતનાં સ્ટાફે પ્લાસ્ટીકનાં પાઇપ વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે આધેડને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા.
દિનેશભાઇ મકવાણાની પુછપરછમા તેઓ રામાપીર ચોકડી પાસેથી પોતાનુ બાઇક લઇને પસાર થઇ રહયા હતા તે દરમ્યાન પોલીસ પુત્ર પણ તેની માતાને સ્કુટર પાછળ બેસાડી ત્યાથી પસાર થયો હતો. ત્યારે દિનેશભાઇ મકવાણાએ સ્કુટર જોઇને ચલાવવાનુ કહેતા પોલીસ પુત્રએ આ મેન્ટલ લાગે છે તેમ કહી કાઠલો પકડી લીધો હતો જેથી દિનેશભાઇ મકવાણાએ પોતાના મોબાઇલમા શુટીંગ ઉતારવાનો પ્રયાસ કરતા પોલીસ પુત્ર સાથે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી પોલીસ પુત્રએ દિનેશભાઇ મકવાણા વિરુધ્ધ અરજી કરી હતી. જે અરજીનાં કામે પોલીસે અટકાયત કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.