જામનગરમાં જાહેરમાં બાયોવેસ્ટ ફેંકતી દવા એજન્સી રંગેહાથ પકડાઈ
જામનગર શહેરના રણજીતસાગર રોડ ઉપર આવેલી નંદનવન પાર્કના રહેણાંક વિસ્તારમાં કચરામાં મેડીકલ વેસ્ટનો કોઈ વ્યક્તિ દ્વારા જાહેરમાં નિકાલ કરાતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. મ્યુ.તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરાવીને જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી સામે દંડકીય કાર્યવાહી કરી ને રૂૂપિયા 40 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત મેડીકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જામનગર શહેરના નંદનવન પાર્કમાં ગઈકાલે સવારે કચરાના ઢગલામાં મેડીકલને લગતી સામગ્રી એક્સપાયરી થયેલી દવાઓના આશરે 300 જેટલા ડબ્બા, ઈન્જેક્શનો, ખાલી પ્લાસ્ટિક સીરીજ 200થી વધુ, તેમજ ઈન્જેકશનની કાચની બોટલ (વાઈલ) 150 જેટલી, રક્તથી દુશીત કોટન, ગ્લોઝ, મેડિકલ બેન્ડેડ, ખાલી દવાઓના પેકેટ અને કાગળ, ઈન્ફ્યુઝન સેટ અને પ્લાસ્ટિક બેગ્સનો કોઈએ જાહેરમાં નિકાલ કર્યો હતો.
ઉપરોક્ત બાયોવેસ્ટ રહેણાંક વિસ્તારમાં કર્યો હોવાથી ગઈકાલે સવારમાંજ કેટલાક બાળકો ત્યાં એકઠા થઈ ગયા હતા. તો વોકીંગ કરવા નિકળેલા લોકોને ધ્યાનમાં આવતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગેની જાગૃત નાગરિકે જામ્યુકોને જાણ કરતાં મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખાની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી, અને આ બાયો વેસ્ટ નો કોણે નિકાલ કરેલો છે, તે દિશામાં તપાસ કરી હતી. સાથોસાથ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જોડાયો હતો. જેઓની તપાસ દરમિયાન નજીકનસ વિસ્તારમાં જ આવેલી ગુરુ કૃપા એજન્સી નામની પેઢી કે જેનું દવાની એજન્સીનું કામ છે, અને ત્યાં જ ગોડાઉન આવેલું છે. જેમાં એક્સપાયરી ડેઇટ ની દવા નો જથ્થો પડ્યો હતો, જેનો નિકાલ કરવા માટે તેમના કર્મચારીઓને સૂચના આપી હતી.
પરંતુ કર્મચારીએ તમામ મેડિકલ વેસ્ટનો નાશ કરવા ને બદલે જાહેરમાં ફેંકી દીધો હતો, અને જન આરોગ્ય પર ખતરા સ્વરૂૂપના બાયો વેસ્ટ સંદર્ભે જામનગર મહાનગરપાલિકાની ટીમને જાણકારી મળી ગઈ હતી, આથી સદગુરુ નામની પેઢીના સંચાલકને જાહેરમાં બાયો વેસ્ટનો નિકાલ કરવા બદલ રૂૂપિયા 40,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો, ઉપરાંત સ્થળ પર જ હાજર રહીને તમામ બાયો વેસ્ટ એકત્ર કરીને તેનો નિકાલ કરવા માટેની કડક સૂચના આપીને જાહેરમાં નિકાલ પણ કરાવી લીધો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી. આ બાયોમેડિકલ વેસ્ટનો જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વિડીઓ વાયરલ થયો હતો.