મધ્યપ્રદેશથી ટ્રેનમાં પાંચ કિલો ગાંજો લાવનાર પેડલર ઝડપાયો
મધ્યપ્રદેશથી ટ્રેન મારફતે પાંચ કિલો ગાંજો લઇને આવેલ પરપ્રાંતીય શખ્સને જંકશન પ્લોટ માંથી એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. પુછપરછમાં પકડાયેલ શખ્સ પોતે મંદિરનો પુજારી હોવાનું અને ગાંજો જામનગર પહોચાડવાનો હોવાનું ખુલ્યું હતું.
મધ્યપ્રદેશના ઉમરીયા જીલ્લાના મહાનપુરના બીજોરી ગામના મુકેશ ભગવાનદાસ તિવારી (ઉ.વ.44)ને જંકશન પ્લોટ-15 લોહાણા ચાલ સામેથી રૂૂા. 50150ના 5.015 કિલોગ્રામ ગાંજા સાથે એસઓજીની ટીમે ઝડપી લઈ પુછપરછ કરતા મુકેશે રટણ કર્યુ હતું કે પોતે પોતાના ગામમાં મંદિરનો પૂજારી છે અને આ ગાંજો જામનગર તરફ પહોંચાડવા જઇ રહ્યો હતો. અગાઉ પણ ચાર વખત આવી ખેપ મારી હોય પોલીસના હાથે પકડાયો નહી હોવાથી પાંચમી વખત ખેપ મારી હોવાનું રટણ કરતો હોઇ સાચી વિગતો જાણવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
માદક પદાર્થની હેરાફેરી અટકાવવા અને યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે પસે નો ટુ ડ્રગ્સથ ઝુંબેશ હેઠળ એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. મુકેશ તિવારી પાસેથી ગાંજા ઉપરાંત એક મોબાઇલ, રોકડ, મળી પ5600નો મુદ્દામાલ કબ્જે કરી પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. મુકેશ ટ્રેન મારફત રાજકોટ આવ્યો હતો અને અહિથી બસ કે જે વાહન મળે તેના મારફત જામનગર આ ગાંજો પહોંચાડવા જતો હતો. અગાઉ પણ પોતે આ રીતે ચાર વખત આવી ચુક્યો હતો. કપડા ભર્યા હોય એ રીતે ગાંજાને થેલામાં પેક કરતો, થેલો પોતે બેસે તેનાથી દૂર રાખતો મુકેશ થેલામાં ગાંજો એ રીતે પેક કરતો કે દૂરથી કોઇ જોવે તો થેલામાં કપડા હોય તેવુ જ લાગે. ટ્રેનમાં પોતે જે સીટ પર બેસે તેનાથી દૂર પણ પોતાની નજર સામે આ ગાંજાનો થેલો રાખતો હતો. જેથી જો ચેકીંગમાં પકડાઇ જાય તો પોતાનો થેલો નથી એવુ કહી શકાય. રાજકોટ ટ્રેન પહોંચે ધીમી પડે ત્યારે ચાલુ ટ્રેને ઉતરી જતો અને મુખ્ય ગેઇટને બદલે આગળથી પાટા ઓળંગી બારોબાર બહાર નીકળી જતો હતો.અહિથી જે વાહન મળે તેમાં બેસી જામનગર સુધી જતો હોવાનું તેણે રટણ કર્યુ હતું. જામનગર કોને આ ગાંજો આપવાનો હતો તેની તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ રાજેશભાઇ બાળા, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, અરૂૂણભાઇ બાંભણીયા, હરદેવસિંહ વાળા, કોન્સ. અનોપસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ, ડ્રા.હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નરપતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. આગળની તપાસ પ્ર.નગર પોલીસ કરી રહી છે. ગાંજાનો પ્રાથમિક અભિપ્રાય ફોરેન્સિક અધિકારી શીતલબેન એચ. ઉપાધ્યાયએ આપ્યો હતો.