મોન્ટુ પટેલની ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પદેથી હકાલપટ્ટી
ગુજરાત ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ મોન્ટુ પટેલને રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને પગલે પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશનો એક ભાગ છે. મોન્ટુ પટેલ પર 5 હજાર કરોડ રૂૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ છે. આ મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાએ રાજ્યના ફાર્મસી ક્ષેત્રમાં હડકંપ મચાવ્યો છે અને ફાર્માસિસ્ટોમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.
મોન્ટુ પટેલ પર થયેલા આરોપોમાં સૌથી ગંભીર આરોપ 5 હજાર કરોડના કૌભાંડનો છે. આ મામલે CBIએ સઘન તપાસ હાથ ધરી છે અને મોન્ટુના કથિત કૌભાંડને લગતા અનેક દસ્તાવેજો અને પુરાવાઓ એકત્ર કર્યા છે. મોન્ટુ પટેલ દ્વારા ગુજરાત ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ બનવા માટે દીવ-દમણથી નોમિનેશન કરવામાં આવ્યું હતું, જેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. CBIની કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે કે રાજ્ય સરકાર ભ્રષ્ટાચારના મુદ્દે કોઈ પણ પ્રકારની ઢીલાશ સહન કરવા તૈયાર નથી અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાશે.
આ કાર્યવાહી ફાર્મસી કાઉન્સિલની વિશ્વસનીયતા પુન:સ્થાપિત કરવામાં મદદ કરશે અને ફાર્માસિસ્ટોમાં ન્યાય અને પારદર્શિતા પ્રત્યેનો વિશ્વાસ વધારશે. રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યમાં પણ આવા ભ્રષ્ટાચાર વિરોધી પગલાં ચાલુ રાખવામાં આવશે તેવી અપેક્ષા છે.