ધ્રાંગધ્રાના ધોરીધારમાં યુવકની હત્યાના આરોપીના પરિવાર પર ટોળાનો હુમલો
ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડયો, ટોળા વિરૂધ્ધ ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા શહેરના ધોળીધાર વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલા હત્યાના મામલે મૃતક યુવાનના સ્વજનોના ટોળાએ આરોપીના સ્વજનો પર હુમલો કરતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ સંદર્ભે પોલીસે ટોળા વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા શાહરુખભાઈ મોવર ગત તારીખ 13 ઓક્ટોમ્બરના રોજ પોતાના મિત્રને સમાધાન કરવા માટે ધોરીધાર ખાતે રહેતા આરીફભાઇ રશૂલભાઈ સધવાણી પાસે લઈ ગયા હતા. જેમાં આરીફ અને શાહરુખભાઇ મોવરને સામાન્ય બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા આરીફ સધવાણી દ્વારા શાહરુખભાઈ મોવર પર છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત શાહરૃખભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે બે મહિલા સહિત આરીફ રશુલભાઈ સધવાણી વિરુધ ગુનો નોંધાયો હતો.
હત્યાના બીજા જ દિવસે ત્રણેય આરોપીઓને સ્થાનિક પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરીફ અને તેના બહેન સહિત કુલ ત્રણેય આરોપીઓને સુરેન્દ્રનગર સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. બનાવ બાદ આરીફના પરિવારજનો દ્વારા ધ્રાંગધ્રાના ધોળીધાર સ્થિત રહેણાંક મકાન ખાતે પોતાનો ઘરનો સામાન ભરવા માટે આવ્યા હતા. જેની જાણ મૃતક યુવાનના પરિવારજનો અને સ્વજનોને થતા ટોળાએ ધોળીધાર વિસ્તાર ખાતે જઈ આરીફના પરિવારજનો પર હુમલો કર્યો હતો.
આ હુમલાની ઘટનામાં આરીફના પરિવારજનોની મદદમાં આવેલ સાહિલ કુરેશી નામના યુવાનને છરી વડે ઈજાઓ પહોંચી હતી. જેની જાણ થતા ધ્રાંગધ્રા સિટી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમા લેવા માટે પ્રયત્નો કર્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત યુવક સાહિલ કુરેશીને તાત્કાલિક સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટક ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ હુમલાખોર ટોળા વિરુધ ગુન્હો નોંધાવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર હત્યાના બનાવ બાદ ફરી મારામારીનો બનાવ બનતા પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી હતી.