ખાખીનો ખોફ ઓસર્યો: ગંજીવાડામાં પોલીસની નજર સામે યુવાન ઉપર હુમલો
પત્ની સાથે ઝઘડો કરી ગાળો દેવાની ના પાડતાં યુવક ઉપર દંપતી સહિત ત્રણ પાઈપ-તલવારથી તૂટી પડ્યા
શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ આવાર નવાર નજીવી બાબતે જીવલેણ હુમલા થતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં ગંજીવાડામાં પત્ની સાથે ઝઘડો કરતા શખ્સોને ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર દંપતી સહિત ત્રણ શખ્સોએ પોલીસની હાજરીમાં હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતા જયદીપ નારાયણભાઈ પરમાર નામનો 26 વર્ષનો યુવાન રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે રાજુ, તેના પુત્ર રવિ અને રવિની પત્નીએ ઝઘડો કરી પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા જયદીપ પરમારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જયદીપ પરમાર જણાવ્યું હતું કે હુમલાખોર શખ્સો દારૂૂના નશામાં તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં જયદીપ પરમાર કૂતરાને બિસ્કીટ ખવડાવતો હતો ત્યારે હુમલાખોર શખ્સોએ ગાળો ભાંડી હતી જેથી જયદીપ પરમારે ગાળો દેવાની ના પાડી 100 નંબરમાં ફોન કરી પીસીઆર બોલાવી હતી. તે દરમિયાન પોલીસની હાજરીમાં પિતા પુત્ર અને તેની પત્ની હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.