ગોંડલમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા નસેડી શખ્સોનો હુમલો
ગોંડલમાં રહેતા યુવકના ઘરેથી કૌટુંબિક ભાઈઓ પૂછ્યા વગર તાલપત્રી લઈ જતા યુવકે ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાયેલા કૌટુંબિક ભાઈઓએ દારૂૂના નશામાં માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલ વોરાકોટડા રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા ભરત ભીખાભાઈ વાઘેલા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પંચપીરની ધાર પાસે હતો ત્યારે કૌટુંબિક ભાઈ કાના અને કિશોર સહિતના અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ભરત વાઘેલાના ઘરે તેના મોટાભાઈની તાલપત્રી પડી હતી જે હુમલાખોર કૌટુંબિક ભાઈઓ પૂછ્યા વગર લઈ જતા ભરત વાઘેલાએ પૂછ્યા વગર કેમ લઈ ગયા તેવું પૂછતા હુમલાખોર શખ્સોએ દારૂૂના નશામાં ગાળો ભાંડી હતી જેથી ભરત વાઘેલાએ ગાળો દેવાની ના પાડતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.