પ્રેમપ્રકરણમાં મહિલાની હત્યાના કેસમાં એક આરોપીના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ
પિતા સાથેના આડા સંબંધના કારણે થતા ગૃહકલેશથી કંટાળી પુત્ર સહિતનાએ ખૂની ખેલ ખેલ્યો’તો
કુવાડવા રોડ પર આવેલ સરકારી ક્વાર્ટર વિસ્તારમાં પ્રૌઢના પ્રેમસંબંધોની વાતોથી કંટાળી પુત્ર, જમાઇ વગેરે દ્વારા છરીથી હુમલામાં મહિલાની થયેલી હત્યા મામલે મદદગારીના ગુનાના એક આરોપીની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ,રાજકોટમાં કુવાડવા રોડ ખાતે આવેલ શહીદ ઉધમસિંહ ટાઉનશિપના બ્લોક નંબર-એફમાં રહેતા રેશ્માબેન યુનુસભાઇ બેલીમ ઉપર મહેબુબભાઇનો દીકરો શાહનવાજ ઉર્ફે ટીપુ મહેબુબભાઇ સમા, જમાઈ સોહીલ હુશૈનભાઇ માંઢાત, સોહીલ સલીમભાઈ હોથીયાણી, જેનુલ મહેમુદભાઈ બ્લોચ તથા અને રવિભાઈ નવઘણભાઈએ છરીથી હુમલો કર્યો હતો.જે અંગે ક્વાર્ટરમાં રહેતા તેઓના કૌટુંબિક સગા શોએબભાઈ બોદુભાઈ સોલંકી દ્વારા તે જ દિવસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હતી. ઈજા પામનાર રેશ્માબેનનું સારવારે દરમિયાન મૃત્યુ થતાં હત્યા કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
તપાસનીસ અધિકારી દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેની તપાસમાં આરોપીના પિતા મહેબુબભાઈ સમાને મરણજનાર રેશ્માબેન સાથે પ્રેમસંબંધ હોય, જે કારણસર આરોપીના માતા-પિતા સાથે ઘરમાં ઝઘડાઓ થતા હોય અને મજકુર આરોપી પિતા ઘરેથી અન્ય જગ્યાએ અલગથી રહેવા જતા રહેલ હોય, તેમ છતાં રેશ્માબેન આરોપીના મહેબૂબભાઈ સમાને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની ખોટી હકીકત સગા સંબંધીઓમાં ફોન કરીને જણાવતા હોય છે. જે વાતનો ખાર રાખી આરોપીઓએ એકસંપ થઈ, ગુન્હાહિત કાવતરું રચી ગુનાને અંજામ આપ્યો હોવાનું ચાર્જશીટ મૂકવામાં આવ્યું હતું.
દરમિયાન આ કામમાં જેલહવાલે રહેલા આરોપી જેનુલ મહેમુદભાઈ બ્લોચ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીનમુક્ત થવા માટે અરજી કરેલ. તેમાં હાઇકોર્ટના એડવોકેટ કૃણાલભાઈ શાહી દ્વારા આરોપી વતી મુખ્યત્વે એવી રજૂઆત કરવામાં આવેલ કે, હાલના અરજદાર દ્વારા મરણજનારને કોઈ ઈજા પહોંચાડવામાં આવેલ હોય, તેવું બનેલ નથી. વધુમાં તપાસનીશ અધિકારી દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલ હોય, જેથી સદરહું કેસના સાક્ષીઓને ફોડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, જે રજૂઆતો તથા રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એમ. આર. મેંગડેએ અરજદારના રોલને ધ્યાને લેતા જામીન મુકત કરતો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ કામમાં આરોપી અરજદાર વતી રાજકોટના સિનિયર એડવોકેટ લલિતસિંહ શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, સી. એમ. દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, મનીષ ગુરુંગ, નિશાંત જોષી, સહાયક વિક્રમ નાડાર તથા પ્રશાંત સિંધવ રોકાયા હતાં.