સૌરાષ્ટ્રમાંથી 84 લાખની ઠગાઇ કરનાર ‘ગઠિયો’ રાજકોટથી ઝડપાયો
ફાયનાન્સની કંપની ખોલી લોકોને ઉંચા વળતરની લાલચ આપી પૈસા ઉઘરાવ્યા હતા
પોલીસથી બચવા સંસારી જીવન છોડી સાધુ વેશ ધારણ કરી આશ્રમમાં રહેતો, 7 વર્ષે પોલીસે આરોપીને પકડયો
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત, રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં 84 લાખની આર્થિક છેતરપિંડી આચરીને છેલ્લા 7 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ આરોપી પોલીસથી બચવા માટે સંસારી જીવન છોડીને સાધુ બની ગયો હતો અને ઋષિકેશના આશ્રમમા કિશનગીરી મહારાજ બનીને રહેતો હતો.
વર્ષ 2015 દરમિયાન કાંતિલાલ રણછોડ તાડા નામના શખ્સે તેના ભાગીદાર ભરત જરીવાલા સાથે મળીને સુરત અને સૌરાષ્ટ્રના લોકોને ટાર્ગેટ બનાવ્યા હતાં. આરોપીએ સુરતના કતારગામ વિસ્તારમાં લલીતા ચોકડી પાસે આવેલા જમનાબા કોમ્પલેક્ષમાં અને ઉધનામાં ઓફિસો ખોલી હતી. તેણે કે.પટેલ એન્ડ એસોસીયેટ તથા કે.પટેલ માઇક્રો ફાઇનાન્સ નામની કંપનીઓ શરૂૂ કરી હતી.
આ કંપનીઓના નામે આરોપીઓએ ભોળા નાગરિકોને લોભામણી સ્કીમો અને ઈનામી ડ્રોની લાલચ આપી હતી. લોકો પાસેથી પૈસા ઉઘરાવીને રાતોરાત ગાયબ થઈ જવાના ઈરાદે તેણે સુરત ઉપરાંત રાજકોટ, જામનગર, કીમ, નવસારી, વીરપુર, લુણાવાડા, ડભોઈ, દેરોલ, હાલોલ, ઘોઘંબા, સાવલી, આણંદ, સલાયા, અંજાર-કચ્છ અને જૂનાગઢ જેવા અનેક શહેરોમાં પોતાની બ્રાન્ચો શરૂૂ કરી દીધી હતી.
આરોપી કાંતિલાલ તાડાએ લોકોને છેતરવા માટે એક વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું હતું. તેની સ્કીમની વિગતો ચોંકાવનારી છે, આ યોજના 40 મહિના માટેની હતી. જેમાં સભ્યોએ દર મહિને 1,100 રૂૂપિયા ભરવાના રહેતા હતા. દર મહિને ડ્રો કરવામાં આવતો હતો. જે સભ્યનું નામ ડ્રોમાં નીકળે તેને નસ્પ્લેન્ડર પ્લસથ મોટર સાયકલ અથવા 54,000 રૂૂપિયા રોકડા આપવામાં આવતા હતા. જો કોઈ સભ્યનું ઈનામ ન લાગે તો મુદત પૂરી થયે ભરેલા પૈસા વ્યાજ સહિત એટલે કે 55,000 રૂૂપિયા પરત આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ સ્કીમમાં તેણે 500 જેટલા મેમ્બરો બનાવ્યા હતા.
આ ઉપરાંત 1 વર્ષ, 2 વર્ષ અને 5 વર્ષના સમયગાળા માટે 0 થી 15% વ્યાજ આપવાની લાલચ આપી ફિક્સ ડિપોઝિટ અને બચત યોજનાઓ પણ ચલાવવામાં આવતી હતી. આ રીતે લાખો રૂૂપિયા ઉઘરાવીને, અંદાજિત 84,00,000 રૂૂપિયાનું ફુલેકું ફેરવીને કાંતિલાલ તાડા અચાનક ગાયબ થઈ ગયો હતો.
છેતરપિંડી આચર્યા બાદ કાંતિલાલ તાડાએ પોલીસથી બચવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. તે ગુજરાત છોડીને સીધો ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચી ગયો હતો. ત્યાં તેણે પોતાની ઓળખ સંપૂર્ણપણે બદલી નાખી હતી. કાંતિલાલ તાડા મટીને તે સ્વામી કિશનગીરી મહારાજ બની ગયો હતો.
પિતાની ખબર કાઢવા લોધિકા આવ્યો’ને પોલીસે પકડ્યો
કાંતિલાલના પિતાને કેન્સરની ગંભીર બીમારી હતી. સાધુ બની ગયેલા કાંતિલાલને પિતાની તબિયત વધુ લથડી હોવાના સમાચાર મળતા તે રહેવાઈ શક્યો નહીં. તે ઋષિકેશથી ગુજરાત પરત આવ્યો. જોકે, પોલીસ પકડના ડરથી તે પોતાના મૂળ વતન જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નિકાવા ગામે જવાને બદલે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના નગરપીપળીયા પાસે આવેલા નજોગમઢી આશ્રમથમાં રોકાયો હતો. તે અહીં છુપાઈને પિતાની સારવાર અને ખબરઅંતર પૂછવા માંગતો હતો.આ માહિતીના આધારે પોલીસની એક ટીમે રાજકોટના નગરપીપળીયા ખાતેના જોગમઢી આશ્રમમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી સાધુના વેશમાં રહેલા 53 વર્ષીય કાંતિલાલ ઉર્ફે કિશનગીરી રણછોડ તાડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.