ગાંધીનગર: નર્મદા કેનાલ પર સાઇકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર, આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરીંગ
ગાંધીનગરમાં આજે પોલીસે સાઇકો કિલરનું એન્કાઉન્ટર કર્યું હતું. અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું એકાઉન્ટર કર્યું હતું. ગઈકાલે (23 સપ્ટેમ્બર) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને ઘટના સ્થળ લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપીએ રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. સામે પોલીસે ફાયરિંગની કરીને આરોપીનું ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી ઈજગ્ર્સ્ત થયાં છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંબાપુર કેનાલ પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી વિપુલ પરમારે અચાનક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો અને તેમની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી હતી. બંદૂક છીનવ્યા બાદ આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. સ્વબચાવમાં આરોપી વિપુલ પરમાર પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ અને આરોપી વચ્ચેના આ ઘર્ષણમાં ગોળી વાગતા આરોપીનું ઘટનાસ્થળે મોત થયું હતું.
ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં. ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા,વૈભવ મનવાણી નામના યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી હત્યા કરી હતી.જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને યુવકનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ 23 સપ્ટેમ્બરે આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી લેવાયો હતો.