TRP અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયાના ACBના ગુનામાં જામીન મંજૂર
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જામીન મુક્ત થયેલા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલ્કતના કેસમાં હાઇકોર્ટ દ્વારા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા.
આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી એસ.આઇ.ટી.ની તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. તેથી ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ દરમિયાન રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમજ ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા બદલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી. સાગઠિયા સામેના આરોપસર ઇડીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું.
પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને અગ્નિકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ અપ્રમાણસર મિલ્કતના ગુનામાં જામીન મુક્ત થવા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બને પક્ષની રજુઆત બાદ હાઇકોર્ટ દ્વારા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલ્કતના કેસમાં જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.