આજીવસાહતના આંબેડકરનગરના યુવાન પર પાંચ શખ્સોનો હુમલો, સ્કૂટરમાં તોડફોડ
આજી વસાહત પાસેના આંબેડકરનગર શેરી નં. 11માં રહેતા અને મજૂરી કરતાં સુજલ બાબરિયા (ઉ.વ.21) ઉપર જૂના ઝઘડાનો ખાર રાખી પાંચ આરોપીઓએ સરાજાહેર હુમલો કરી તેના ટુ-વ્હીલર પર પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થોરાળા પોલીસમાં નોંધાઈ છે.
ફરિયાદમાં સુજલે જણાવ્યું છે કે ગઈ તા. 27નાં રોજ રાત્રે ગંજીવાડામાં રહેતા નાનાને ત્યાંથી ટુ-વ્હીલર લઇ ઘરે જતો હતો ત્યારે આંબેડકરનગર શેરી નં. 3 પાસે આરોપીઓ સુજલ પરમાર, મયુર ખીમસુરિયા, જયેશ ચાવડા, મોહીત પરમાર અને મીત પરમારે તેને અટકાવી તેના ટુ-વ્હીલરની ચાવી કાઢી લીધા બાદ તને કેટલાય દિવસથી ગોતીએ છીએ તેમ કહી ગાળો ભાંડી, ગડદાપાટુનો માર માર્યો હતો. નીચે પડી જતાં આડેધડ લાતો પણ ફટકારી હતી.
આરોપીઓએ તેને ગાડીમાં બેસી જવાનું કહ્યું હતું. પરંતુ ડર લાગતા તેનું ટુ-વ્હીલર ત્યાં જ છોડી ભાગી ગયો હતો. દૂર જઈ પિતાને કોલ કર્યો હતો. પાછળથી આરોપીઓએ તેના ટુ-વ્હીલરમાં છૂટ્ટા પથ્થરોના ઘા કરી તોડફોડ કરી 25 હજારનું નુકશાન કર્યું હતું.એટલું જ નહીં તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.તેમજ બુમો પાડતા હતા કે આજે તને મારી જ નાખવો છે.પાંચેય આરોપીઓએ હુમલો કરતા સુજલને લોહીલુહાણ હાલતમાં તેણે 108 મારફતે સિવિલમાં જઈ સારવાર લીધા બાદ ત્યાંથી રજા આપતા ફરિયાદ નોંધાવી હતી.થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ મામલે હેડકોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.
