ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ
વાહન અકસ્માતની સામાન્ય બોલાચાલી બાદ ઘરે આવી ભડાકા કર્યા
ચોટીલાના નાનકડા એવા મેવાસા ગામે રહેતા રબારી સમાજના આગેવાન અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના પૌત્ર ઉપર ફાયરીંગ નો બનાવ બનતા યાત્રાધામ પંથકની કાયદો વ્યવસ્થા સામે સવાલ સર્જી ચકચાર જગાવી છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસ પૂર્વે તા. 31-10-25ના રોજ સાંજે અગ્રણી ભીખાભાઈ લઘરાભાઈ રાઠોડ ઘરે હતા. બહાર અકસ્માતનો અવાજ આવતા તેઓ બહાર જોતા. જેમાં કાળા કલરની સ્કોર્પીયો કારના ચાલક સુખસરના નીમભાઈ કનુભાઈ ખાચરે ભીખાભાઈ ભત્રીજા ઈશ્વરભાઈ રાઠોડના નવા બનતા મકાનની દીવાલ સાથે કાર અથડાવી હતી. આ કાર ખેરાણાના અજ્યભાઈ જસ્કુભાઈ ધાધલની હોવાથી તેઓ બાઈક લઈને આવી પહોંચ્યા હતા.
આથી ભીખાભાઈએ નીમભાઈની કાર જોઈને ચલાવવાનું કહેતા અજયભાઇ ઉશ્કેરાઇને બોલાચાલી કરવા લાગ્યા પરંતુ ભીખાભાઈને માથાકૂટમાં પડવુ ન હોઈ તેઓ કાંઈ બોલ્યા ન હતા. આ ઘટના પછી અજ્યભાઈ ફોન કરીને તેમજ ભિખાભાઈના પુત્ર અશ્વીનને મળી તેના પિતાને 2 દિવસમાં મારી નાંખવાના છે તેવી ધમકી આપી હતી. તા. 20-11-25ના રોજ ફરી ફોન કરી ભીખાભાઈને ધમકી આપતા તેઓ ચોટીલા પોલીસ મથકે અજય વિરૂૂધ્ધ અરજી કરવા ગયા હતા.
આ સમયે અજય ધાધલ કાર લઈને ભીખાભાઈના ઘરે ગયો હતો. અને તેમના પૌત્રને કયાં ગયો ભીખો આજે તેને પુરો કરી નાંખવાનો છે તેમ કહેતા પૌત્ર પરેશભાઈને આજે એકને તો પુરો કરી નાંખવાનો છે તેમ કહી અજયે તેની પાસે રહેલ બંદુક વડે પરેશ પર ફાયરીંગ કર્યુ હતુ. જેમાં પરેશે ડેલી બંધ કરી દેતા દરવાજા પર ગોળી વાગી હતી.
દીવાલ સાથે કાર અથડાવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુ:ખ રાખીને અવારનવાર ધમકી આપતા આરોપી શખ્સ સામે તેઓ તા. 20મીને ગુરુવારે રાત્રે ચોટીલા પોલીસ મથકે અરજી આપવા ગયા હતા. ત્યારે આરોપીએ તેમના પૌત્ર પર બંદુકથી ફાયરીંગ કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યાની તા. 21મીને શુક્રવારે ભીખાભાઈ રાઠોડે આરોપી અજ્યભાઈ જસ્કુભાઈ ધાધલ સામે ફાયરીંગ કરી હત્યાના પ્રયાસની પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ચોટીલાના પીઆઈ આર. એમ. સંગાડા એ હાથ ધરેલ છે. રાજ્યનાં પવિત્ર યાત્રાધામ પંથકમાં સામાન્ય બાબતે થયેલ બોલાચાલી બાદ ફાયરિંગની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગયેલ છે.