રાજકોટમાં ગળુ કાપી વૃદ્ધની ક્રૂર હત્યા, ઘરેણાની લૂંટ
હાથમાં પહેરેલા ઘરેણા ગાયબ, ગળા પર પેટમાં અને વાસામાં તીક્ષણ હથિયારના ઘા ના નિશાન
આફ્રિકા રહેતા પુત્રએ કોલ કરતા પિતાએ ન ઉપાડ્યો, પિતરાઇને ઘરે તપાસ કરવા મોકલતા હત્યાની જાણ થઇ
મુખ્યમંત્રીની મુલાકાતને પગલે ગઈકાલે આખો દિવસ પોલીસ તંત્ર કાર્યક્રમના સ્થળે બંદોબસ્તમાં રહેલું હતું અને કાલે ત્યાંથી બંદોબસ્ત પૂરો થાય ત્યાંજ ભક્તિનગર સર્કલ પાસે આવેલી શ્રીનગર શેરી નં. 1માં એકલવાયું જીવન જીવતા મુસ્લિમ વૃધ્ધની લૂંટના ઈરાદે ગળું કાપીને કરપીણ હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. અજાણ્યા લૂંટારૂૂએ મૃતકના હાથમાંથી સોનાના દાગીના લૂંટી લીધા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
વધુ વિગતો મુજબ,ભક્તિનગર વિસ્તારમાં આવેલી વાલ્કેશ્વર સોસાયટી મેઈન રોડ પર આવેલ શ્રીનગર શેરી નં. 1માં એકલા રહેતા 70 વર્ષના વૃધ્ધના ઘરેણાં લૂંટી કરપીણ હત્યા નિપજાવી હતી. બનાવના પગલે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને ભક્તિનગર પોલીસના પીઆઇ સરવૈયા સહિતનો સ્ટાફ દોડી જઈ મૃતદેહેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી સીસીટીવી આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,દુધ સાગર રોડ દૂધની ડેરી સામે અર્થ એપાર્ટમેન્ટમાં પહેલા માળે ફલેટ નં 102માં રહેતા રમજાનભાઈ ગુલામહુશેન લાખાણીએ ભકિતનગર પોલીસમાં અજાણ્યા શખસ તથા તપાસમાં ખુલે તે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો પાંચ ભાઈ તથા ત્રણ બહેનો છે. તેમાંના મોટા ભાઈ બરકતભાઈ ગુલામહુશેનભાઈ લાખાણી જેઓ વાલ્કેશ્વર સોસાયટી મેઈન રોડ પર આવેલ શ્રીનગર શેરી નં. 1માં એકલા રહેતા હતા. તેના પત્નિ ઘણા વર્ષો પહેલા અવસાન પામેલ છે. શુક્રવાર રાત્રીના ઘરે હતો ત્યારે ભત્રીજા રાજેશ નો ફોન આવ્યો અને કહ્યું કે બરકત કાકા તેના ઘરે પડી ગયા છે. તે સીરીયસ જેવું લાગે છે.
જેથી આપણે જવું પડશે તેમ વાત કરતા ઉપરોકત સરનામે ઘરે પહોંચ્યો ત્યારે આસપાસ લોકો એકઠા થયેલા હતા. જેથી ઘરમાં જઈ તપાસતા મોટાભાઈ હોલમાં રહેલ સોફાની બાજુમાં લોહી લોહાણ હાલતમાં પડેલ હતા. તેમજ હાથોની આઠેય આંગળીઓની સોનાની વીંટીઓ, ઘડીયાળ તથા લકકી જોવા મળેલ ન હતી. આમ કોઈએ મોટાભાઈની લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઉપરોકત સ્થળે એકલા રહેતા અને સંતાનમાં એક પુત્ર જે આફ્રિકા રહે છે. તેમજ પુત્રી સુરત ખાતે સાસરે છે. સમીસાંજે પુત્રએ પિતાને ફોન કરેલ પરંતુ વૃધ્ધાએ રીસીવ ન કરતા પિતરાઈને ઘરે તપાસ કરાવવા મોકલતા હત્યાની જાણ થઈ હતી.હાલ પુત્રીને ઘટનાની જાણ કરતાં રાજકોટ આવવા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ગાયબ,આરોપીએ રેકી કર્યાની દૃઢશંકા
મૃતક વૃદ્ધને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી હોવાનું તેમજ ઘણા સમયથી એક પુત્ર અને પત્નીના અવસાન બાદ એકલા રહેતા હતા તેમજ વૃધ્ધને ગળામાં, પડખામાં અને હાથના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું તેમજ સોનાના ચેઇન, 8 વીંટીઓ અને સોનાની લક્કી ગાયબ હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે.તેમજ આ ઘટનામાં રેકી કર્યાનું પણ જાણવા મળી રહ્યું છે.
24 કલાકમાં હત્યાની બે-બે ઘટના
રાજકોટમાં કેટલાક સમયથી પોલીસના ગુનાખોરી અટકાવવાના અભિયાન વચ્ચે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યો છે. વાવડી ગામે મકાનના ભાડાના મામલે વાલકેશ્વરમાં રહેતા વિપુલ જેન્તીભાઈ મકવાણા નામના નિર્દોષ યુવકની હત્યામાં હજુ 24 કલાક પણ થયા નથી ત્યાં વધુ એક વાણિયાવાડી પાસેના વાલકેશ્વરમાં રહેતા બરકતઅલી લાખાણી નામના વૃદ્ધની હત્યા કરી લૂંટનો બનાવ બન્યો હતો.