દેવાયતના રિમાન્ડ પૂરા, જેલ હવાલે કરવા હુકમ
ગીરમાં અમદાવાદના યુવાન સાથે મોરેમોરો દેવાના કેસમાં પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા નહીં
તાલાલા ગીરમાં અમદાવાદના ધૃવરાજસિંહ ચૌહાણ નામના યુવકની કાર સામે કાર અથડાવી તેના પગ ભાંગી નાખી ખુની હુમલો કરવાના કેસમાં પકડાયેલા ડાયરાના વિવાદિત કલાકાર દેવાયત ખવડના છ દિવસના રિમાન્ડ પુરા થતા આજે પોલીસે દેવાયત ખવડ અને તેના સાગરીતોને જુનાગઢ જેલ હવાલે કરવા કોર્ટે હુકમ કર્યો હતો. જયારે દેવાયત ખવડે જામીન અરજી કરતા આવતીકાલ તા.18ના રોજ તેની સુનાવણી કરવામાં આવશે.
નોંધનીય છે કે, તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો.
આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા, જેના પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આ રિવિઝન અરજી માન્ય રાખી દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. સમગ્ર કેસ મામલે તાલાલા પોલીસે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટે મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ બુધવારે (17 સપ્ટેમ્બર) પૂરા થયા બાદ તમામ આરોપીને જૂનાગઢ જેલમાં મોકલાયા છે.
અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મન-દુ:ખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી.
બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો.