ભાવનગર ખનિજ વિભાગના અધિકારીઓની રેકી કરનાર ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
ભાવનગર ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની રેકી અને જાસૂસી કરી તેમની ગતિવિધિ તેમજ લોકેશન વોટ્સએપ ગ્રુપમાં મૂકી ભૂમાફિયાઓ પાસેથી રકમ મેળવી ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની ફરજમાં રૂૂકાવટ અને અડચણ ઉભી કરવા મામલે વોટ્સએપના ત્રણ ગ્રુપના એડમિન વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગરના આંબાવાડી પાસે આવેલ માધવાનંદ ટેલિફોન એક્સચેન્જની બિલ્ડિંગમાં કાર્યરત ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના અધિકારીને માહિતી મળી હતી કે વોટ્સએપ ગ્રુપ બન્નાજી 78, થ્રી ટેમ્પલ અને સંતકૃપા ગ્રુપના એડમિન ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની રેકી અને જાસૂસી કરી તપાસ અધિકારીઓના લોકેશન,વાહનોના ફોટોગ્રાફ્સ,વાહનના નંબર, વાહનમાં બેસેલા અધિકારીઓ તેમજ અન્ય ગતિવિધિઓ અને સંવેદનશીલ માહિતીઓ ખાણ ખનીજ માફિયાઓને પૂરી પાડી ખનીજ ચોરી કરતા તત્વોને મદદ કરી તપાસ અધિકારીઓની ફરજમાં રૂૂકાવટ અને અડચણ ઉભી કરી ગુનાહિત કૃત્ય કરે છે.આ શખ્સો મામલતદાર,આર.ટી.ઓ. સહિતની સરકારી કચેરીઓના અધિકારીઓની પણ જાસૂસી કરતા હોવાનું ખુલ્યું હતું.
આ અંગે કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ ભૂસ્તરશાસ્ત્રી ભરતકુમાર મગનભાઇ જાલોધરાએ વોટ્સએપના ત્રણ ગ્રુપના એડમિન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં બોટાદમાં પણ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરવા મામલે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.