ઉપલેટામાં મંજૂરી વગર રેલી કાઢનાર સામે ગુનો નોંધાયો
બે કોમ વચ્ચે તંગદિલી ઉભી કરવાના પ્રયાસ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી
ઉપલેટામાં શનિવારે ગાળો બોલવા બાબતે બે જૂથ વચ્ચે થયેલ માથાકુટ બાદ કોમી તનાવ ઉભો થાય તેવા મેસેજ વાયરલ થયા હતાં. જેમાં પોલીસે ગુનો દાખલ કર્યા બાદ મંજુરી વગર રેલી કાઢી બે કોમ વચ્ચે ઘર્ષણ ઉભુ થાય તેવી સ્થિતિનું નિર્માણ કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ઉપલેટામાં શનિવારે બે કોમના યુવકો વચ્ચે માથાકુટ થયા બાદ બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ ઉભી થઈ હતી અને રવિવારે આખો દિવસ ભારે તંગદીલી જોવા મળતા ઉપલેટા ઉપરાંત ધોરાજી અને ગોંડલથી પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતાં અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મામલે સામાસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં પોલીસે 8 સામે નામ સહિત જ્યારે 150થી વધુના ટોળા સામે તંગદીલીની સ્થિતિ ઉભી કરવા અને કોમી ઘર્ષણ ઉભુ થાય તેવા મેસેજ વાયરલ કરવા અંગે નોંધ્યો હતો. બીજી તરફ આ મામલે પોલીસે ઉપલેટાના જવાહર રોડ રિલાયન્સ ટ્રેન્સ મોલની સામે રહેતા મેહુલ કરસન ચંદ્રવાડિયા સામે કોઈ પણ જાતની મંજુરી વગર 200 લોકોના ટોળા સાથે ઉપલેટામાં રેલી કાઢવા મામલે ગુનો નોંધ્યો હતો. સામાન્ય માથાકુટમાં કોમી સ્વરૂપ આપીને બન્ને કોમને ભડકાવવા મામલે પોલીસે તાત્કાલીક એક્શન લઈ મોટી ઘટના બનતી અટકાવી હતી. પોલીસે અગાઉ આ મામલે ભડકાઉ ભાષણ આપવા બાબતે ઉપલેટાના અલ્તાફ અલી મોહમદ સુર્યા તથા મેહુલ ચંદ્રવાડિયા સામે ગુનો નોંધ્યો હતો.
અલ્તાફ સુર્યા દ્વારા મેહુલ ચંદ્રવાડિયા અને અન્ય ત્રણ સામે કૌટુંબીક ભાઈને ગાળો આપી માથાકુટ કરીને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આ બનાવમાં અલ્તાફને ઈજા થતાં જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઉપલેટામાં વારંવાર બનતા આવા બનાવ બાબતે પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી કોમવાદ ફેલાવનાર સામે ગુનો નોંધ્યો હતો.