ફેસબુકમાં ઉશ્કેરણીજનક પોસ્ટ મામલે ભાવનગરના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
ભાજપના અગ્રણી અને શૈક્ષણિક સંસ્થા ચલાવતા અમર આચાર્યને ફેસબુક પર ભડકાઉ પોસ્ટ મૂકવી ભારે પડી છે.ભડકાઉ પોસ્ટ મૂકી વિવાદમાં આવેલા અમર આચાર્ય વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ભાજપના નેતાઓના નિવેદનો હાલ ચર્ચામાં છે,આ નિવેદનબાજીમાં ભાવનગરના નેતાઓ પણ બાકાત નથી,હાલમાં ભાજપ અગ્રણી અને શૈક્ષણિક સંસ્થા ચલાવતા અમર આચાર્ય ફેસબુક પર મૂકેલી બે ભડકાઉ અને ઉશ્કેરણી જનક પોસ્ટથી વિવાદમાં આવ્યા છે.દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને સંબોધીને લખેલી બે પોસ્ટમાં અમર આચાર્યએ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેમજ બે સમાજ વચ્ચે વૈમનસ્ય અને ધિક્કારની ભાવના પેદા થાય તેવી પોસ્ટ મૂકતા વિવાદ થયો છે.
ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને લખવામાં આવેલી આ પોસ્ટ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.આ અંગે ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા ફિરોઝભાઈ મનસુખભાઈ પરમારે અમર આચાર્ય વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.