HDFC બેન્કની લેણી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા 20 લોનધારકોને સજા ફટકારતી અદાલત
એચ.ડી.એફ.સી. બેન્ક લી.ના ક્રેડિટ કાર્ડ તથા જુદી જુદી અન્ય લોનની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ ગયેલા ડિફોલ્ટરો સામેના 20 ફોજદારી કેસોમાં 6 માસથી લઈને 1 વર્ષ સુધીની જેલની સજા અને વળતરની રકમ ચૂકવી દેવાનો કોર્ટે હુકમ કર્યો છે. ક્રેડિટ કાર્ડ તથા જુદી જુદી અન્ય લોનની લેણી રકમ ભરપાઈ ન કરનાર ડિફોલ્ટરો માટે ફરી એકવાર સજા સાથે દાખલારૂૂપ ચુકાદો રાજકોટ કોર્ટે આપ્યો છે.
આ અંગેની હકીકત મુજબ, એચ.ડી.એફ.સી. બેન્ક લી.નાં 20 ડિફોલ્ટરો એટલે કે ભેડા ધર્મેશ હસમુખભાઈ, બોદર સુભાષ માધાભાઈ, કૌશલકુમાર ભીમજીભાઈ બેરા, સજજ્જાદ હુસેન એચ બુખારી, બિમલ અરવિંદભાઈ શાહ, દિપેશસિંહ ચંદ્રસિંહ સોલંકી, ખાચર સુરેશભાઈ કે., મનીષ નંદા, જયેન્દ્રસિંહ જાલમસિંહ વાઢેર, ધારવીયા નરેશ, પુજાબેન અતુલભાઈ બોડાણા, અલ્ફાજ રમજાનભાઈ ચૌહાણ, હેમતગર દયાગર મેધનાથી, હરખાભાઈ ઝાલાભાઈ ભરવાડ, પ્રકાશ પરમાનંદ દક્ષિણી, ધનશ્યામભાઈ ગૌરધનભાઈ સાંકળીયા, મુમતાજ યુનુસ સુધાગુનિયા, અરવિંદ ભીખા બારૈયા, હરદેવસિંહ દાદાભા ગોહિલ આ તમામ વ્યકિતઓને ક્રેડિટ કાર્ડ અથવા જુદી જુદી અન્ય લોનની ફેસિલિટી અપાયી હતી, પરંતુ તેઓએ રકમ પરત કરવાના હપ્તા સમયસર નહીં ભરવા સબબ તેઓને બેન્કનાં એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ હતી, તેમ છતાં પૈસા ન ભરતા ફરીયાદી બેન્કે તમામ આરોપીઓ સામે રાજકોટનાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સ્પે. નેગોશીએબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી.
આ ફોજદારી કેસમાં ઉપરોક્ત આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા, પરંતુ રકમ જમા કરાવવામાં નિષ્ફળ ગયેલ હતા. આથી કોર્ટે આરોપીઓને 6 માસથી લઈને 1 વર્ષની કેદની સજા તથા તેમના ચેકની રકમ વળતર તરીકે દિવસ-30માં ફરિયાદી બેંકને ચુકવવા હુકમ ફરમાવ્યો હતો. આ કામગીરીમાં બેંક વતી એડવોકેટ નીલ બી. પુજારા રોકાયેલ હતાં.
