For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં અમદાવાદના પોલીસમેન દ્વારા પુત્રના અપહરણ સબબ ફરિયાદ

03:29 PM Oct 01, 2024 IST | Bhumika
ખંભાળિયામાં અમદાવાદના પોલીસમેન દ્વારા પુત્રના અપહરણ સબબ ફરિયાદ
Advertisement

ખંભાળિયામાં મામાના ઘરે રહેતા સાત વર્ષીય એક બાળકનું તેના જ પિતા એવા અમદાવાદના પોલીસ કર્મી શખ્સ દ્વારા મોટરકારમાં અપહરણ થયાનો ચકચારી બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે તાકીદની કાર્યવાહી કરી, બાળકના પિતા સહિત કુલ સાત શખ્સોને દબોચી લીધા હતા   આ સમગ્ર પ્રકરણની સિલસિલાબંધ વિગત એવી છે કે ખંભાળિયામાં બંગલા વાડી, શેરી નંબર 3 ખાતે રહેતા અને મામલતદાર કચેરીમાં નોકરી કરતા જયદીપસિંહ કનકસિંહ પરમાર (ઉ.વ. 28) ના બહેન શીતલબાના લગ્ન વર્ષ 2017 માં  અમદાવાદ જિલ્લાના ઓઢવ ખાતે રહેતા જયદતસિંહ સતુભા વાઘેલા સાથે થયા હતા. હાલ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોધાવી ગામના પોલીસ કર્મી જયદત્તસિંહ સતુભા વાઘેલા અમદાવાદ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.પોલીસ કર્મી જયદતસિંહ દ્વારા પોતાના પત્ની શીતલબાને લગ્નજીવન દરમિયાન ત્રાસ આપવામાં આવતા તેણી ખંભાળિયા ખાતે પોતાના પિતાના ઘરે રિસામણે આવી ગયા હતા. જે દરમિયાન તેઓ સગર્ભા હોય, તેણીએ તા. 19 જૂન 2018 ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. હાલ સાત વર્ષિય બાળક ખંભાળિયા ખાતે તેમના માતા અને મામા સાથે જયદીપસિંહ સાથે રહે છે. આ સમયગાળા દરમિયાન બાળકના પિતા જયદતસિંહ ક્યારેય તેમના પુત્ર કે પત્નીને મળવા આવ્યા ન હતા.આ બાબતથી વ્યથિત શીતલબાએ તા. 14 જાન્યુઆરી 2024 ના રોજ આત્મહત્યા કરી લીધી હતી અને બાળક તેના મામાના ઘરે રહી અને અહીંની એક શાળામાં એલ. કે.જી.માં અભ્યાસ કરી રહ્યો છે. ગત રવિવાર તારીખ 29 મી ના રોજ સાંજે આ બાળક તેના મામા જયદીપસિંહ સાથે નાસ્તો લઈને મોટરસાયકલ પર તેમના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રાત્રિના આશરે પોણા નવ વાગ્યાના સમયે તેમના ઘર નજીક પહોંચતા જયદીપસિંહ નજીક એક ટાટા કંપનીની મોટરકાર આવીને ઊભી રહી હતી. જેમાં તે એક અજાણ્યો શખ્સ ઉતર્યો હતો અને પોસ્ટ ઓફિસનું સરનામું માંગ્યું હતું જયદીપસિંહ કાંઈ સમજે તે પહેલા આ મોટરકારમાંથી તેમના બનેવી જયદતસિંહએ ઉતરીને બળજબરી પૂર્વક પોતાના પુત્ર અને જયદીપસિંહના ભાણેજ એવા આ બાળકને મામાના મોટરસાયકલમાંથી ઉપાડીને પોતાની ગાડીમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.જેથી બાળકના મામા જયદીપસિંહે પોતાનું મોટરસાયકલ આડુ નાખી અને ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલતા તેમના બનેવી જયદતસિંહ કાર ચલાવી રહ્યા હતા. તેમણે કારનું સ્ટિયરીંગ પકડી લીધું હતું. કારચાલક જયદતસિંહએ ગાડી ચાલુ કરતા તેના સાડા જયદીપસિંહ 50 ફૂટ ઢસડાયા હતા. આ દરમિયાન તેમના ભાણેજએ રડતા રડતા "મામા બચાવો... મામા બચાવો" ની બૂમો પાડી હતી.આખરે ગાડીનો દરવાજો અથડાતા ઇજાગ્રસ્ત બની જવાના કારણે જયદીપસિંહના હાથમાંથી સ્ટેરીંગ છૂટી ગયું હતું અને તેમના બનેવી એવા પોલીસ કર્મચારી જયદતસિંહ વાઘેલા તેમના ભાણેજનું બળજબરીપૂર્વક અપહરણ કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.આ સમગ્ર બનાવમાં બાળકના મામા દ્વારા બાળકના પિતા તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ તેનું વાલીપણામાંથી બળજબરીપૂર્વક અપહરણ કરીને લઈ ગયાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી હતી.આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસને જાણ કરવામાં આવતા અહીંના ઈન્ચાર્જ પોલીસ વડા ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ડી-સ્ટાફ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અપહરણકારોની શોધખોળ આદરવામાં આવી હતી. આ પ્રકરણમાં પી.એસ.આઈ. આર.આર, ઝરુ દ્વારા નેત્રમ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી, આ પ્રકરણમાં જી.જે. 27 ડી.એચ. 0347 નંબરની હોન્ડા અમેઝ મોટરકારના સગડ મેળવીને આ કાર ઉપલેટા તરફ હોવાથી સ્થાનિક પી.એસ.આઈ.ને સાથે રાખીને અહીંથી પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેની પૂછતાછમાં અન્ય એક મોટરકારમાં બે શખ્સો દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેને અનુલક્ષીને પી.એસ.આઈ. એમ.એચ. ચૌહાણ દ્વારા બાળકને લઈને રાજકોટના વીંછીયા પોલીસ મથકની હદ તરફ નીકળેલી જી.જે. 27 ઈ.બી.9454 નંબરની ટાટા નેકસોન મોટરકારને અમદાવાદ તરફ જતા આંતરીને આ મોટરકારમાં અપહૃત બાળક તથા તેની સાથે તેના પિતા સહિતના આરોપીને ઝડપી લઇ, બાળકને સલામત રીતે છોડાવવામાં પોલીસને સફળતા મળી હતી.આ સમગ્ર ફિલ્મી એવા બનાવમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, બાળકના પિતા જયદત્તસિંહ સતુભા વાઘેલા (ઉ.વ. 32), મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા (ઉ.વ. 38, રહે. જોગેશ્વર - અમદાવાદ), અજય ધીરુભાઈ વૈષ્ણવ (ઉ.વ. 34, રહે. જોગેશ્વર), વેદાંગ કમલેશભાઈ ઠાકર (ઉ.વ. 24, આનંદ સોસાયટી, અમદાવાદ), બ્લોગર યશપાલસિંહ પ્રતાપસિંહ સોલંકી (ઉ.વ. 35, રહે. લીંબડી, જી. સુરેન્દ્રનગર), હરેશ જહાભાઈ ભુવા (ઉ.વ. 37, રહે. લીંબડી) અને બીપીન મેરાભાઈ મકવાણા (ઉ.વ. 31, રહે. ગોગેશ્વર, અમદાવાદ) નામના કુલ સાત શખ્સોને ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી કરી હતી.આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી. પી. આઈ. કે.કે. ગોહિલ, ઈન્ચાર્જ પી.આઈ. વી.એમ. રાણા, પી.એસ.આઈ. આર.આર ઝરૂ, એસ.એસ. ચૌહાણ, તેમજ ખંભાળિયાના ડી-સ્ટાફ, નેત્રમ ટીમ તેમજ એલ.સી.બી.ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement
Advertisement