ભાવનગરમાં મકાનનો કબજો લેવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાનમાલિક વચ્ચે ઝપાઝપી
ભાવનગરના શાસ્ત્રીનગર, એલ.આઈ.જી. વસાહતમાં મકાનની જપ્તી કરવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાન માલિક અને ભાડુઆત વચ્ચે ઝઘડો અને ઝપાઝપી થતા બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલ ઇન્ડિયન બેંકમાંથી મહેન્દ્રભાઈ નંદલાલભાઈ મકવાણા અને હર્ષાબેન મકવાણાએ વર્ષ 2017 અને વર્ષ 2020 માં અલગ અલગ ખાતામાંથી હોમ લોન અને બિઝનેસ લોન પેટે રૂૂ.2,76,50,000/- ની લોન લીધી હતી અને લોનની સિક્યુરિટી માટે પોતાની બે મિલકત એલઆઇજી નં.84,શેરી નં. 06 શાસ્ત્રીનગર તેમજ માતૃધામ સોસાયટીમાં આવેલી મિલકત માર્ગેજ પેટે મૂકી હતી. આ લોન ભરપાઈ કરવામાં ન આવતા ઇન્ડિયન બેંકની મુખ્ય શાખા દ્વારા સરફેસી કાયદા હેઠળ મિલકતનો કબજો મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ચીફ કોર્ટ મારફત મિલકતનો કબજો મેળવવા અરજી કરી હતી.
કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા ગીરો રાખેલ મિલકતનો કબજો લેવા માટે બેંકના મેનેજર સહિતનો સ્ટાફ પોલીસ તેમજ કોર્ટ કમિશનરને સાથે રાખીને ગયા હતા ત્યારે શાસ્ત્રીનગરમાં આવલ એલ.આઇ.જી. શેરી નં.6 ન મકાનમાં મકાન માલિક મહેન્દ્રભાઈ મકવાણા, તેમના ભાડુઆત નરેશભાઈ ચાવડા સહિતનાએ બેન્ક અધિકારીની ફરજમાં રૂૂકાવટ કરી ઘરમાં પ્રવેશ કરવા નહીં દેતા બોલાચાલી અને મારામારી થઈ હતી. આ બનાવ અંગે ઇન્ડિયન બેંકના મેનેજર શુભાન્કર શ્રીવિરેન્દ્રકુમાર ભારદ્વાજે મકાનમાલિક મહેન્દ્રભાઈ મકવાણા તેના ભાડુઆત નરેશભાઈ ચાવડા, રાજ અને ભાવિન વિરુદ્ધ એક સંપ કરી બેંકના સ્ટાફને દરવાજે રોકી મિલકતનો કબજો લેવા ન દઈને ફરજમાં રૂૂકાવટ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે નરેશભાઈ દેવજીભાઈ ચાવડાએ બેંકના અધિકારી શુભાંકર ભારદ્વાજ અને રાહુલ રાણા વિરુદ્ધ મકાનનો કબજો લેવા માટે કોર્ટનો હુકમ બતાવ્યો હોવા છતાં હુકમ વાંચી ફેકી દઈ સામાન વેર વિખેર કરી નાખી જ્ઞાતિ વિશે અપમાનિત કરી ગાળો આપી માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.