ભાવનગરના વેપારીનું અપહરણ કરી રૂ. 50 લાખની ખંડણી માંગી
પોલીસે રાજકોટ થી બે આરોપીને ઝડપી લીધા, અન્ય ત્રણની શોધખોળ હાથ ધરાઇ
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા સાડીના એક વેપારીનું અપહરણ કરી તેના છુટકારા બદલ રૂૂ. 50 લાખની ખંડણી માંગનાર ભાવનગર અને રાજકોટના શખ્સને પોલીસે રાજકોટ થી ઝડપી લીધા છે .જ્યારે રાજકોટના ત્રણ અન્ય ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર શહેરનાચિત્રા વિસ્તારમાં મસ્તરામ બાપા મંદિર પાસે આવેલી હાટકેશ્વર સોસાયટીમાં રહેતા કમલેશગીરી ગોસ્વામી પોતે સાડીના વેપારી છે.ગત તા. 11મીથી તેઓ સંપર્ક વિહોણા બન્યા હતા. દરમ્યાનમાં ગત તા.13મીએ પરિવારજનો પર અપહરણકારોનો ફોન આવ્યો હતો અને કમલેશગીરી ગોસ્વામી તેના કબ્જામાં હોવાનું જણાવી તેની મુક્તી માટે રૂૂપીયા 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આથી પરિવારજનો હતપ્રભ બની ગયા હતા. ભારે ગડમથલના અંતે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયને ફોન કરી પરીવારજનોએ હકીકત જણાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એસ.પી. દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.આર.વાળાને તાકિદે સુચના આપી અને વેપારીની મુક્તિ માટે તથા આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આથી એલસીબી પીઆઈના માર્ગદર્શન તળે પીએસઆઈ પી.ડી.ઝાલા તથા વી.સી. જાડેજા તથા સ્ટાફના ચુનંદા જવાનો ધનશ્યામભાઈ ગોહિલ, જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઈ કરમટીયા, શૈલેષભાઈ ચાવડા, રાજેન્દ્ર મનાતર સહિતનો સ્ટાફ કામે લાગ્યો હતો.
દરમિયાનમાં પોલીસને જાણકારી મળી હતી કે અપહરણકારો એ વેપારીને રાજકોટ ખાતે ગોંધી રાખ્યા છે. આથી પોલીસે ટીમે રાજકોટ દોડી જઈ અને વેપારી કમલેશગીરી ગોસ્વામીને મુક્ત કરાવ્યા હતા. જ્યારે સ્થળપરથી અપહરણકાર ગોપાલભાઈ બોઘાભાઈ બાંબા (રે. માલધારી સોસાયટી ભાવનગર હાલ નારી) અને કાનાભાઈ રાજેશભાઈ ટોળીયા (રહે. થોરાળા મેઈન રોડ રાજકોટ)ને ઝબ્બે કર્યા હતા. તપાસ દરમિયાન આ ગુનામાં ભરત હમીરભાઈ ટોળીયા, દિનેશભાઈ તથા કાના પટેલ (રહે તમામ રાજકોટ)ના નામ ખુલ્યા છે જેઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે. આમ ભાવનગરની એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં જ અપહરણ કરનાર આરોપીઓને રાજકોટ થી ઝડપી લીધા છે.